દેશમાં ઓમિક્રોન સંક્રમણના વધતા કેસોની વચ્ચે મહારાષ્ટ્રમાં વિદેશથી આવેલા 205 લોકોમાંથી 109 લોકો મળી રહ્યાં નથી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા વિજય સૂર્યવંશીએ સોમવારે જણાવ્યું હતું કે થાણે જિલ્લાની ટાઉનશિપમાં તાજેતરમાં પરત ફરેલા 295 વિદેશીઓમાંથી 109 લોકો ટ્રેસ થઈ રહ્યાં નથી, તેમનો હજુ સુધી કોઈ અત્તો-પત્તો લાગી રહ્યો નથી.
તેમણે કહ્યું કે આમાંથી કેટલાક લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ છે, જ્યારે કેટલાકના આપેલા એડ્રેસ પર તાળા મારેલા છે.
સૂર્યવંશીએ જણાવ્યું હતું કે KDMC નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે અને હાઈરિસ્કવાળા દેશોમાંથી આવતા તમામ લોકોને સાત દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે અને જો કોવિડ-19 ટેસ્ટ આઠમા દિવસે નેગેટિવ આવે તો જ તેમને જવા દેવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ડોમ્બિવલી વિસ્તારમાં ઓમિક્રોનનો એક કિસ્સો સામે આવ્યો છે.
સોમવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન ચેપના બે નવા કેસ નોંધાયા હતા, દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા 37 વર્ષીય વ્યક્તિ અને અમેરિકાથી પરત આવેલા તેના 36 વર્ષીય મિત્રને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. આ સાથે ભારતમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે.