આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૮ દિવસમાં ૧૫ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. દેશના ૮૦ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાનો એકપણ દર્દી નોંધાયો નથી. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી કોવિડ-૧૯થી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો છે. દેશના કુલ કેસમાંથી ૪૯.૫ ટકા કેસ આ ત્રણ રાજ્યોમાં નોંધાયાં છે. લોકડાઉનના છેલ્લા એક મહિનામાં ભારત કોરોના વાઇરસના પ્રસારની ગતિ નિયંત્રણમાં રાખવા સફળ રહ્યો છે.
એમ્પાવર્ડ ગ્રૂપ-વનના ચેરમેન ડો. વી. કે. પોલે જણાવ્યું હતું કે, પહેલા સપ્તાહના પાંચ દિવસની સરખામણીમાં જો આપણે ત્રણ દિવસની સરેરાશ લઈએ તો હાલ ૧૦ દિવસમાં કેસ બમણા થઈ રહ્યાં છે. ૨૧મી માર્ચ સુધી ૩ દિવસમાં કેસ બમણા થઈ રહ્યાં હતાં. ૨૯ માર્ચ સુધી પાંચ દિવસમાં કેસ બમણા થયાં હતાં. ૬ એપ્રિલ બાદ નવા કેસની ગતિ ધીમી પડી હતી. તેનો અર્થ એ છે લોકડાઉન લાદવાનો વડા પ્રધાન મોદીનો નિર્ણય સાચો હતો. જો કોરોનાના કેસ ૩ દિવસમાં બમણા થતાં હોત તો અત્યારે ૭૩,૦૦૦ કેસ નોંધાયાં હોત. કોરોના મહામારીના બીજા સ્ટેજમાં પણ પ્રસારની ગતિ ધીમી પડી છે. હજુ આપણે બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે જ છીએ. જો લોકડાઉન લાદવામાં ન આવ્યો હોત તો દેશમાં એક લાખ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોત.