કેરળ સરકારે કોરોના વાયરસને પોતાના રાજ્યમાં રાજકીય ઇમરજન્સી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કહ્યુ કે મુખ્યમંત્રી પિનારઇ વિજયનના નિર્દેશ પર તેની જાહેરાત કરવામાં આવી છે. અલપુઝા એનઆઇવીમાં આ બીમારીની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
તમામ જિલ્લાને આ મામલે ઝડપથી પગલા ભરવા આદેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે સરકાર તે લોકોની લિસ્ટ બનાવી રહી છે જે વુહાનથી પરત ફર્યા છે, તેમની માટે ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટ સાથએ સંપર્ક કરવાની તૈયારી છે. દરેક શંકાસ્પદ દર્દી પર નજર રાખવામાં આવી રહી છે.
સોમવારે કેરળના એક વ્યક્તિને કોરોના વાયરસ હોવાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ વ્યક્તિએ ચીનનો પ્રવાસ કર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે નોવેલ કોરોના વાયરસ વ્યક્તિમાં પોઝિટિવ આવ્યો છે. દર્દીને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે, દર્દીની હાલત સ્થિર છે. સ્વાસ્થ્ય ટીમ દર્દી પર નજર રાખી રહી છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસને લઇને નવી એડવાઇઝરી જાહેર કરી હતી. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ હતું કે ચીનનો પ્રવાસ ના કરો, જો ચીનથી પરત ફર્યા છો તો પછી તમને અલગ રાખવામાં આવશે.