નવી દિલ્હીઃ દેશમાં કડક નિયંત્રણો લગાવ્યા બાદ દેશમાં કોરોનાની સ્પીડને બ્રેક લાગી છે. ધીમે ધીમે કોરોના ઉપર કાબુ થતો હોય એવું લાગી રહ્યું છે. કોરોનાની ગતિ ઓછી હોવા છતાં, મૃત્યુઆંક હજી ઓછો થયો નથી. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,40,842 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3741 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કોરોનાના નવા કેસો આવ્યા પછી હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 65 લાખ 30 હજાર 132 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના દેશમાં અત્યારો 28 લાખ 5 હજાર 399 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 34 લાખ 25 હજાર 467 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2 લાખ 99 હજાર 266 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી ઘણી રાહત મળતી દેખાઇ રહી છે.
શનિવારે મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 26,133 નવા કેસ નોંધાયા છે, જ્યારે સંક્રમણને કારણે 682 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 55,53,225 લોકો સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી છે અને 87,300 લોકો કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં 40,294 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા તે સાથે સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 51,11,095 થઈ ગઈ છે. રાજ્યમાં હાલમાં 3,52,247 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં દર્દીઓની રિકવરીનો દર 92.04 ટકા છે જ્યારે મૃત્યુ દર વધીને 1.57 થયો છે.
શનિવારે હિમાચલ પ્રદેશમાં કોવિડ -19 ને કારણે વધુ 55 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ રોગચાળામાં 2,693 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2,341 લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આ સાથે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ચેપ લગાવેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 1,77,725 થઈ ગઈ છે.