Covid-19 Cases In India: ભારતમાં ફરી કોરોનાનો સંકટ: કેરળ અને ગુજરાત હોટસ્પોટ તરીકે ઊભર્યા
ભારતમાં ફરી કોરોના વાયરસ (COVID-19)ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી તાજેતરની માહિતી અનુસાર, દેશભરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 6815 સુધી પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ સાથે ફરી એકવાર આરોગ્ય તંત્ર સજાગ બની ગયું છે. ખાસ કરીને કેરળ અને ગુજરાત રાજ્ય હોટસ્પોટ તરીકે ઉદ્ભવ્યા છે, જ્યાં સક્રિય કેસોની સંખ્યા વધારે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કેરળમાં હાલમાં સૌથી વધુ 2053 સક્રિય કેસ નોંધાયા છે. બીજી તરફ, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ નવા કેસ ઝડપથી વધતાં જોવા મળી રહ્યા છે. આ રાજ્યોમાં આરોગ્ય વ્યવસ્થાઓ ફરી તૈનાત થવા લાગી છે.
મૃત્યુના કેસોની વાત કરીએ તો, તાજેતરમાં ત્રણ અલગ અલગ રાજ્યોમાંથી કોરોનાને કારણે મૃત્યુની નોંધ થઈ છે. દિલ્હીમાં એક 90 વર્ષીય વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું, જેમને પહેલેથી હૃદયની નબળાઈ અને કિડનીની સમસ્યા જેવી ગંભીર બિમારીઓ હતી. ઝારખંડમાં એક 44 વર્ષીય વ્યક્તિએ કોરોના ઉપરાંત એસ્પિરેશન ન્યુમોનિયા, ARDS, સેપ્ટિક શોક જેવી જટિલતાઓનો સામનો કર્યો હતો. આ ઉપરાંત, કેરળમાં 79 વર્ષીય વ્યક્તિનું મલ્ટી-ઓર્ગન ફેલ્યર અને સેપ્સિસ જેવી સ્થિતિ વચ્ચે મૃત્યુ થયું હતું.
આ સ્થિતિને જોતા તબીબી તંત્રએ લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હાઈજિન જાળવવા માટે સૂચના આપી છે. કોરોના રોગચાળાની ફરી વધતી ચપેટ સામે લડવા માટે સરકારી તંત્રની સાથે સામાન્ય નાગરિકોનું પણ જવાબદારીપૂર્વકનું વર્તન જરૂરી છે.