COVID-19 India cases દેશભરમાં 7,121 સક્રિય કેસ, કેરળમાં સૌથી વધુ અસર, કેન્દ્ર સરકારે RT-PCR પરીક્ષણ ફરજિયાત કર્યું
COVID-19 India cases દેશમાં ફરીથી કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 7,121 સુધી પહોંચી ગઈ છે. આ વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા પહેલાં હવે દરેક વ્યક્તિ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. તમામ કેન્દ્રીય મંત્રીઓને પણ હવે આ ટેસ્ટ કરાવવો જરૂરી છે.
સરકાર દ્વારા લીધેલા આ પગલાંનો મુખ્ય હેતુ ઉચ્ચ સ્તરીય મુલાકાતોમાં રોગચાળાના સંક્રમણને અટકાવવાનો છે. વડાપ્રધાન સાથે મીટિંગ માટે અથવા કેન્દ્રીય મંત્રાલયમાં હાજરી માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ જરૂરી રહેશે. આ નિર્ણય કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસમાં ફરીથી થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
તાજેતરમાં દિલ્હી, ઝારખંડ અને કેરળમાં કોરોના સંબંધી મોત નોંધાયા છે. દિલ્હીમાં 90 વર્ષીય વૃદ્ધા, ઝારખંડમાં 44 વર્ષીય પુરૂષ અને કેરળમાં 79 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. ત્રણે કેસમાં દર્દીઓને પહેલેથી જ બીજી ગંભીર બીમારીઓ હતી જેમ કે હૃદયની નિષ્ફળતા, ન્યુમોનિયા, ARDS અને મલ્ટી-ઓર્ગન ફેલ્યર.
આ ઉપરાંત, કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે. ત્યાં આ સંખ્યા 2,053 સુધી પહોંચી છે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હીમાં પણ નવા કેસ સતત સામે આવી રહ્યા છે. કર્ણાટક અને હરિયાણામાં પણ સ્થિતિ તંગ છે. કર્ણાટકમાં તાજેતરમાં 2 મૃત્યુ નોંધાયા છે.
આ હકીકતને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને RT-PCR ટેસ્ટિંગ વધારવા, રસીકરણની સ્થિતિનું પુનઃમુલ્યાંકન કરવા અને હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ અને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.