નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું જોર ધીમે ધીમે ઓછું થતું હોય એમ દેખાઈ રહ્યું છે. આમ દેશમાં થોડાક દિવસથી નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારના 24 કલાકમાં પણ ચાર હજારથી વધુ સંક્રમિત દર્દીઓનાં મોત થયા છે. 24 કલાકમાં દેશમાં 3,48,421 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. બીજી તરફ એક્ટિવ કેસો પણ 37 લાખથી વધુ છે. દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 2.54 લાખથી પણ વધી ગઈ છે. જોકે, ચિંતા એવાતની છે કે મૃત્યુદર સતત ચાર હજાર જેટલી રહે છે.
12 મે બુધવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં દેશમાં 3,48,421 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 4205 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,33,40,938 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 17,52,35,991 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસની મહામારી સામે લડીને 1 કરોડ 93 લાખ 82 હજાર 642 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,55,338 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,04,099 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,54,197 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 11 મે સુધીમાં ભારતમાં કુલ 30,75,83,991 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના 24 કલાકમાં 19,83,804 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.