વિકરાળ રૂપ ધારણ કરીને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારોને ધમરોળતા ચક્રવાત તિતલીએ ઓરિસ્સામાં મોટાપાયા પર ખાનાખરાબી સર્જી છે જ્યારે આંધ્રમાં તિતલીના કારણે બેના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. ઓરિસ્સામાં તિતલીના કારણે કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી મળી રહ્યા નથી.
ઓરિસ્સાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. આ ઉપરાંત કાચા મકાનો તૂટી ગયા છે. ઓરિસ્સા સરકારે સ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થા ગોઠવી છે. સરકારે પાંચ જિલ્લાના ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. કેન્દ્ર સરકારે રાહત અને રેસ્ક્યુ ટીમો મોકલી છે. આંધ્રપ્રદેશ અને પ.બંગાળમાં એનડીઆરએફના એક હજાર જવાનોને તૈનાત કરાયા છે.