બંગાળની ખાડીમાં ઓછા પ્રેશરના કારણે આવેલા તિતલી વાવાઝોડાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. વાવાઝોડું ધીમે-ધીમે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. જોકે, હાલમાં વાવાઝોડાની ગતિ ધીમી છે પરંતુ ગુરુવારે તિતલી પ્રચંડ ઝડપથી આગળ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાની અસરને જોઈને બન્ને રાજ્યોમાં 11 અને 12મી તારીખે સ્કૂલ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
તિતલી વાવાઝોડાના પરિણામે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશની સરકારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ખુર્દા અને વિજીયાનગરમ વચ્ચે દોડતી ટ્રેનોને બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત યુપી થઈને હાવડા-ખડગપુર તરફથી આવતી ટ્રેનોને સાંજે 5.15થી આગળ વધવા દેવામાં આવી રહી નથી. હૈદ્રાબાદ-વિશાખાપટ્ટનમથી શરૂ થતી ટ્રેનોને દુવ્વાડા ખાતે અટકાવી દેવામાં આવી રહી છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તિતતલી વાવાઝોડું હાલ ઓરિસ્સાના ગોપાલપુરથી અંદાજે 530 કિમી અને આંધ્રપ્રદેશના ક્લિંગપટ્ટનમની વચ્ચે છે. જોકે,આંધ્રના કાંઠા વિસ્તારમાં પ્રવેશતાં-પ્રવેશતા વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ જવાની શકયતા છે.
વાવાઝોડાની સૌથી વધુ અસર ઓરિસ્સાને થવાની ભીંતી છે. જ્યારે યુપી,બિહારમાં વરસાદ થઈ શકે છે.