ગુજરાતના ગીર-સોમનાથમાં આવેલા ઉનામાં જાતિ વિષયક ટીપ્પણીનો વિરોધ કરવા બાબતે ત્રણ દલિત યુવાનોને માર મારવાનો મામલો બહાર આવ્યો છે. શુક્રવારે નવ નવેમ્બરના રોજ આ ઘટનામાં સંડોવાયેલા ચાર શખ્શોની પોલીસે ધરપકડ કરી છે. ચારેયને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. માર મારવાની ઘટના આઠમી તારીખની છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 27 વર્ષીય મનુ ભાઉ સોલંકી ઉર્ફ મુકેશ દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. મુકેશે નોંધાવેલી ફરીયાદ મુજબ સગા ભરત સોલંકી સાથે તેઓ ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે કથિત રીતે દારુ પીધેલી હાલતમાં ચાર લોકોએ તેમને દલિત હોવાના કારણે ગાળો આપી હતી અને જાતિગત ટીપ્પણી કરી હતી.
ચારેય શખ્સોનો વિરોધ કરવામાં આવ્યો તો દલિત યુવાનોને લાકડાના ફટકાથી મારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. એક શખ્સે ચાકુથી વાર કરવાની કોશીશ પણ કરી હતી. મુકેશ અને ભરતને બચાવવા આવેલા ઉગાભાઈ સોલંકીને પણ માર મારવામાં આવ્યો. મુકેશનો આરોપ છે કે હુમલાખોરો પાસે જે લાકડી હતી તે પોલીસ પાસે જે પ્રકારનો દંડો હોય છે તેવી રીતની હતી. માર મારવાની ઘટનામા મુકેશને ચહેરાના ભાગે ઈજા પહોંચી હતી.
જ્યારે મુકેશને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ચારેય શખ્સોએ મોટર સાયકલને રસ્તાની વચ્ચોવચ મૂકી એમ્બ્યુલન્સને અટકાવવાની કોશીશ કરી હતી. જ્યારે મુકેશને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને મોબાઈલમાં સમગ્ર ઘટનાનું રેકોર્ડીંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. પકડાયેલા ચારેય આરોપીઓ નંદરખ ગામના રહીશ છે. ઘટના સંદર્ભે પોલીસે કિશોર ગોહીલ, મહેન્દ્ર ગોહીલ, અનિરુદ્વ ગોહીલ અને અજીત ગોહીલની ધરપકડ કરી છે.
ઘટનાની તપાસ કરી રહેલ ડીએસપી ધનશ્યાન બાંભણીયાએ કહ્યું કે ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસે આરોપીઓના રિમાન્ડ માંગ્યા ન હતા, જેથી કરીને તેમને જેલ કસ્ટડી કરી દેવામાં આવી છે. ડીએસપી બાંભણીયાએ કહ્યું કે લોહીના નમૂના ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ત્યાર બાદ દારુબંધીના કાયદા હેઠળ વધારાની કલમોનો ઉમેરો કરવામાં આવશે.
પોલીસે આ ઘટનાને 11, જુલાઈ-2016ની ઉનાકાંડની ઘટના સાથે સંકળાયેલી હોવાનો ઈન્કાર કર્યો હતો. 2016માં મૃત ગાયનું ચામડુ ઉતારવાના મામલે દલિત યુવાનોને બેરહેમીપૂર્વક પીટવામાં આવ્યા હતા.