પાકિસ્તાનને પાઠ ભણાવવાના ભારતે અન્ય રસ્તા પણ શોધી લીધા છે. હવે ભારતમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના વહેણ ફેરવી નાખવામાં આવશે અને તેનો ઉપયોગ ભારતમાં જ કરવામાં આવશે. આ માટે રવી નદી પર એક ડેમ બનાવવામાં આવશે જેની મદદથી પાકિસ્તાન તરફ જતુ પાણી ભારત તરફ વાળી લેવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પંજાબમાં આ ડેમ બનાવવામાં આવશે જેની મદદથી પાકિસ્તાન તરફ જે વધારાનું પાણી જતુ રહે છે તેને અટકાવવામાં આવશે અને ભારત તરફ વાળી લેવાશે. આ પ્રોજેક્ટની મદદથી પંજાબમાં પાંચ હજાર હેક્ટર જમીન અને કાશ્મીરમાં ૩૨૧૭૩ હેક્ટર ખેતીની જમીનની સીંચાઇમાં મદદ મળી રહેશે.
હાલ જે શાહપુરકંડી ડેમને મંજુરી આપવામાં આવી છે તે પંજાબમાં બનાવવામાં આવશે. જેનાથી પંજાબમાં ૨૦૬ મેગાવોટ હાઇડ્રોપાવરનું પણ ઉત્પાદન થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં કરવામાં આવેલા પાણીના કરારોમાં ભારતને રવી, બીઆસ અને સતલુજના પાણી પર પુરો અધિકાર મળ્યો હતો. હાલ પંજાબમાં જે પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે અનુમતી આપી છે તે માટે કેન્દ્ર તરફથી ૪૮૫ કરોડની સહાય આપવામાં આવશે જ્યારે રાજ્ય સરકાર તેની સંપૂર્ણ કામગીરી સંભાળશે. ૨૦૧૮-૧૯થી પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર સહાય કરશે તેમ જણાવ્યું હતું. જોકે આ પુરા પ્રોજેક્ટ પાછળ આશરે ૨૭૧૫.૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ થવાની શક્યતાઓ છે. અને ૨૦૨૨ સુધીમાં પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવશે તેવી પણ શક્યતાઓ છે.