દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી રુઝાનોમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવા સાથે જ દિલ્હીમાં ફરીથી સરકાર બનવાના અણસાર જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હી પ્રદેશ કાર્યાલય પર એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ અટકળો વહેતી થઈ ગઈ છે કે, શું ભાજપે મત ગણતરી પહેલા જ પોતાનો પરાજય સ્વીકારી લીધો છે?
ભાજપના દિલ્હી કાર્યાલયમાં પોસ્ટર લાગ્યું છે. જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફોટો છે અને લખ્યું છે કે, વિજયથી અમે અહંકારી નથી થતા અને પરાજયથી નિરાશ નથી થતા. આ પોસ્ટરને ભાજપની દિલ્હી યુનિટે લગાવ્યું છે. જો કે મત ગણતરી પહેલા ભાજપના નેતાઓ જીતનો દાવો કરી રહ્યાં છે.
ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, હું નર્વસ નથી. મને વિશ્વાસ છે કે, આ ભાજપ માટે સારો દિવસ રહેશે. હવે અમે દિલ્હીમાં સત્તા સંભાળીશું. જો અમે 55 બેઠકો જીતીએ તો નવાઈ નહી. અગાઉ મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમે 48 બેઠકો જીતીશું.