દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ ગયા છે. આમ આદમી પાર્ટીને આ વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમત મેળવી છે, તેમણે 62 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે BJPએ આ ચૂંટણીમાં ખૂબ જ મહેનત કરી હતી પણ તેમની મહેનત રંગ લાવી નહીં તેઓ માત્ર 8 બેઠકો સુધી સિમિત રહ્યા. અહીં મહત્વપૂર્ણ વાત છે કે, કોંગ્રેસના ફાળામાં એક બેઠક પણ ન મળી. જણાવી દઈએ કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસના હાથ ખાલી રહ્યા હતા. જણાવી દઈએ કે, સૌથી વધારે વોટથી આમ આદમી પાર્ટીના અમાનાતુલ્લા ખાન લગભગ 90 હજાર મતોથી જીત મેળવી છે.
આ વખતે થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં BJPએ રાષ્ટ્રવાદના મુદ્દા ઉઠાવ્યા હતા. BJPના કેન્દ્રીય મંત્રી અને નેતાઓએ ધ્રુવિકરણ કરતા નિવેદનો આપ્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ‘ગોલી મારો’ જેવા નિવેદનો આપ્યા હતા જ્યારે BJP સાંસદ પરવેશ વર્માએ કેજરીવાલને આતંકવાદી પણ ગણાવ્યો હતો. આ ઉપરાંત કપિલ મિશ્રાએ પણ કટ્ટર નિવેદનો આપ્યા હતા. આ નેતાઓના નિવેદનો પર ચૂંટણી આયોગે સંજ્ઞાન લીધો હતો અને તેમના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ વિધાનસભા ચૂંટણીમાં શાહીનબાગનો મુદ્દો પણ ખૂબ ઉછાળવામાં આવ્યો હતો. આ વિધાનસભા ચૂંટણીમાં BJP માટે વોટ માંગવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉતર્યા હતા. તે સિવાય BJPએ સાંસદોની ફોજ અને રાજ્યોના મુખ્યમંત્રી પણ ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા.
BJPથી વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુદ્દા ઉઠાવીને વોટ માંગ્યા હતા. કેજરીવાલની પાર્ટીએ તેમણે કરેલા પાંચ વર્ષના કામકાજને લોકો સામે પ્રસ્તુત કર્યા હતા. શરૂઆતમાં શાંત દેખાતી કોંગ્રેસ પણ છેલ્લે છેલ્લે એક્શન મોડમાં આવી હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને રાષ્ટ્રીવ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉમેદવારો માટે વોટ માંગ્યા હતા. કોંગ્રેસે શીલા દિક્ષિતના કાર્યોને લોકોને યાદ કરાવવાના પ્રયત્નો કર્યા હતા.