નવી દિલ્હી: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS જનરલ બિપિન રાવત) તેમની પત્ની ડૉ. મધુલિકા રાવત અને તમિલનાડુના નીલગિરિમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના મોત થઇ ગયા હતા. આ હેલિકોપ્ટર અકસ્માત ગઈકાલે થયો હતો. જનરલ બિપિન રાવત અને તેમના પત્ની ડૉ. મધુલિકા રાવતના પાર્થિવ દેહને આજે દિલ્હી લાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃતદેહને દિલ્હી છાવણી લાવવામાં આવશે અને શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને આજે સૈન્ય વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચાડવામાં આવશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બંને ગૃહોમાં તમિલનાડુના નીલગિરિમાં આ હેલિકોપ્ટર દુર્ઘટના અંગે વિસ્તૃત માહિતી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ આજે લોકસભામાં સવારે 11.15 વાગ્યે અને પછી બપોરે રાજ્યસભામાં નિવેદન આપશે.
ઉલ્લેખનીય છે કે, જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થઇ ગયું છે. આ હેલિકોપ્ટરમાં જનરલ રાવત તેમની પત્ની સહિત 14 લોકો હતા. ભારતીય વાયુસેના (IAF)નું હેલિકોપ્ટર જેમાં તેઓ સવાર હતા તે તમિલનાડુના નીલગિરી જિલ્લામાં ક્રેશ થયું છે. Mi શ્રેણીના હેલિકોપ્ટરે સુલુર આર્મી બેઝ પરથી ઉડાન ભરી હતી, તેના થોડા સમય બાદ નીલગીરીમાં અકસ્માત થયો હતો.