નવી દિલ્હી: ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમની પત્ની અને અન્ય 11 લોકોને લઈ જતું હેલિકોપ્ટર ગઈકાલે ટેકઓફની 20 મિનિટ પછી નીલગિરિમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર માત્ર સાત મિનિટ પછી લેન્ડ થવાનું હતું, પરંતુ તે અકસ્માતનો ભોગ બની ગયું.
વાયુસેનાના Mi-17V-5 હેલિકોપ્ટરે સવારે 11:48 વાગ્યે સુલુર એર બેઝ પરથી ઉડાન ભરી હતી અને બપોરે 12:15 વાગ્યે વેલિંગ્ટનમાં લેન્ડ થવાની ધારણા હતી. એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે, હેલિકોપ્ટર સાથે છેલ્લો રેડિયો સંપર્ક બપોરે 12:08 વાગ્યે થયો હતો.
જનરલ રાવત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજની મુલાકાત લઈને વિદ્યાર્થીઓના અધિકારીઓ સાથે વાતચીત કરવાના હતા.
સૂત્રોએ જણાવ્યું કે સુલુર એર બેઝ પર એર ટ્રાફિક કંટ્રોલનો હેલિકોપ્ટર સાથેનો સંપર્ક લગભગ 12:08 વાગ્યે તૂટી ગયો હતો.
તેના તરત પછી કેટલાક સ્થાનિક લોકોએ કુન્નુર નજીક જંગલમાં આગ જોઇ અને લશ્કરી હેલિકોપ્ટરનો કાટમાળ શોધવા માટે સ્થળ પર દોડી ગયા. એક વણચકાસાયેલ ફૂટેજ પણ સામે આવ્યું છે જેમાં હેલિકોપ્ટર આ વિસ્તારમાંથી નીચે ઊડતું અને પછી ઝાકળમાં ગાયબ થતું બતાવવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાના પૂર્વ વડા એર ચીફ માર્શલ ફલી એચ મેજરે Mi-17V-5 હેલિકોપ્ટરને સેનાના બેડામાં સામેલ કર્યું હતું. ગઈ કાલે એનડીટીવી સાથે વાત કરતાં તેણે કહ્યું હતુ કે આટલા ઓછા સમયમાં શું ખોટું થઈ શકે છે.
એર ચીફ માર્શલે એનડીટીવીને જણાવ્યું હતું કે, “સુલુરથી વેલિંગ્ટનની ફ્લાઇટનો સમય માત્ર 20થી 25 મિનિટનો છે. આટલા ટૂંકા ફ્લાઇટના સમયગાળામાં શું ખોટું થઈ શકે છે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે.”
અન્ય કેટલાક નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ પણ હેલિકોપ્ટન દૂર્ઘટનાગ્રસ્ત થતાં આઘાતમાં છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે સંસદમાં જણાવ્યું હતું કે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો “બ્લેક બોક્સ” અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યું છે અને અકસ્માતનું કારણ બહાર આવવાની અપેક્ષા છે.