ગુલામ નબી આઝાદની નવી પાર્ટીનું નામ અને ઝંડો ફાઈનલ થઈ ગયો છે. આઝાદ આજે પહેલા નોરતે પાર્ટીના નામની જાહેરાત કરી શકે છે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગયા રવિવારે સવારે ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરની ચાર દિવસીય મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા.જમ્મુ એરપોર્ટથી આઝાદ સીધા ગાંધી નગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પોતાના નિવાસસ્થાનની બહાર પત્રકારો સાથેની ટૂંકી વાતચીતમાં આઝાદે કહ્યું કે હું અહીં નેતાઓ અને કાર્યકરોને મળવા આવ્યો છું. પાર્ટીની શરૂઆત કરતા પહેલા હું સોમવારે મીડિયાને આમંત્રિત કરીશ. તેમના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર નામ અને ઝંડો ફાઈનલ થઈ ગયો છે. ટૂંક સમયમાં એક-બે દિવસમાં તે જાહેર થશે. સૂત્રોએ જણાવ્યું કે આઝાદ આજે નવરાત્રિ પર પાર્ટીના નામની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છે.સમર્થકો સાથે કરી મુલાકાતઆઝાદના નિવાસસ્થાને આખો દિવસ બેઠકો ચાલુ રહી. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ, ડો.મનોહર લાલ શર્મા, જીએમ સરોરી, અબ્દુલ મજીદ વાની, બલવાન સિંહ, ગૌરવ ચોપરા, જુગલ કિશોર વગેરેએ ભાગ લીધો હતો. આ દરમિયાન પાર્ટીના નામની ચર્ચા થઈ હતી.
જમ્મુની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ આઝાદ 27 સપ્ટેમ્બરે શ્રીનગર જશે. તેઓ બે દિવસ કાશ્મીરમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે.જમ્મુ અને કાશ્મીરના પંદર હજારથી વધુ લોકોએ ગુલામ નબી આઝાદને પાર્ટીના નામ સૂચવ્યા હતા. જો કે તેઓ દિલ્હીમાં પાર્ટીના નામ પર વિચાર વિમર્શ કરી ચુક્યા છે, પરંતુ તેને અંતિમ સ્વરૂપ આપવા માટે તેમણે જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે પણ વિગતવાર ચર્ચા કરી છે. સપ્ટેમ્બર મહિનામાં ગુલામ નબી આઝાદની આ બીજી મુલાકાત છે. આ પહેલા કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ 4 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીર આવ્યા હતા. તેમણે રેલીઓ યોજી અને 400 થી વધુ પ્રતિનિધિમંડળો સાથે વાતચીત કરી.પાર્ટીનો એજન્ડા સ્પષ્ટ કર્યો પરંતુ પાર્ટીનું નામ નક્કી થઈ શક્યું નથી.
આઝાદે અનુચ્છેદ 370 પર પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે કે આ કલમ ફરીથી નહીં આવી શકે, કારણ કે તેના માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. તેઓ કહી ચુક્યા છે કે તેમની પાર્ટી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા, સ્થાનિક લોકોને નોકરીઓ અને જમીન અધિકારો સુરક્ષિત કરવા માટે લડશે.તેઓ મહિલાઓનું સન્માન, કાશ્મીરી સ્થળાંતર કરનારાઓનું પુનર્વસન, દરેક ક્ષેત્રમાં સમાન વિકાસ પર કામ કરશે. આઝાદના સમર્થનમાં કોંગ્રેસના મોટાભાગના નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે.