નવી દિલ્હીઃ કોરોનાની બીજી ઘાતક લહેર સામે બચવા માટે લોકો કોરોના વેક્સીન લગાવી રહ્યા છે ત્યારે અત્યારે કોરોના વેક્સીનની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં સારા સમાચાર આવી રહ્યા છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉક્ટર વિનોદ કુમાર પૉલે કહ્યુ છે કે ડિસેમ્બર સુધી દેશના તમામ નાગરિકોને રસી લગાવવા માટે પૂરતી રસી ઉપલબ્ધ હશે. ગુરુવારે તેમણે કહ્યુ કે, ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 216 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. પૉલે કહ્યુ કે, આ રીતે જોતા દરેક ભારતીયને રસીનો ડોઝ લગાવ્યા બાદ પણ રસીનો વધારાનો પર્યાપ્ત જથ્થો હશે.
ગુરુવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન ડૉક્ટર વી.કે. પૉલે કહ્યુ કે, “ભારત અને ભારતીયો માટે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી કુલ મળીને 216 કરોડ ડોઝનું નિર્માણ કરવામાં આવશે. એ વાતમાં કોઈ શંકા નથી કે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું, દરેક માટે રસી ઉપલબ્ધ હશે.” સરકારી ડેટા પ્રમાણે ગુરુવારે સવાર સુધી દેશમાં 17.12કરોડથી વધારે વેક્સીન ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
જાન્યુઆરીમાં ભારતે ભારત બાયોટેકની કોવેક્સિન અને ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડને મંજૂરી આપી છે. ગત મહિને રશિયાની સ્પૂતનિક 5ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. પૉલે કહ્યુ કે, સ્પૂતનિક 5 ભારતમાં આવી ચૂકી છે. તેમણે કહ્યું કે, “મને આશા છે કે આ રસી આગામી અઠવાડિયા સુધી બજારમાં આવી જશે. અમને આશા છે કે રશિયા પાસેથી મળેલી સીમિત સ્ટોકનું વેચાણ આગામી અઠવાડિયે શરૂ થઈ જશે.”
આ દરમિયાન પૉલે વેક્સીનના રોડ મેપ સાથે જોડાયેલા આંકડા રજૂ કર્યા હતા. જોકે, તેમાં ફાઇઝર-બાયોનટેક, જૉનસન એન્ડ જૉનસન, મૉડર્ના અને ચીનની સિનોફાર્મનું નામ ન હતું. ગત એપ્રિલમાં સરકારે એવી રસીના ઇમરજન્સી વપરાશને છૂટ આપી હતી જેનો ઉપયોગ અમેરિકા, યૂરોપ, જાપાન અને બ્રિટન કરી રહ્યા છે. જેમાં એ વેક્સીન પણ શામેલ છે જેને WHO તરફથી ઇમરજન્સી વપરાશની છૂટ આપવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકારે ગુરુવારે જાણકારી આપી છે કે ત્રણ ફાર્મા કંપનીઓએ કહ્યુ છે કે તે વર્ષ 2021ના ત્રીજા ક્વાર્ટરમાં જ વાતચીત કરી શકશે. જ્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ત્રણેય કંપનીઓએ એવો સંકેત આપ્યો છે કે તેમની પાસે તાત્કાલિક વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે જગ્યા નથી. કંપનીઓ અમુક મહિના પછી જ ‘વાત’ કરવાનું કહ્યું છે. પૉલે કહ્યુ કે, શરૂઆતથી જ બાયોટેક્નોલૉજી વિભાગ અને વિદેશ મંત્રાલય ફાઇઝર, મૉડર્ના અને જૉનસન એન્ડ જૉનસન સાથે સંપર્કમાં હતા અને હજુ પણ છે.