ચીન સાથે ભારતના સીમા વિવાદની તંગદિલી વચ્ચે સંરક્ષણ મંત્રાલયે રૂ. 38900 કરોડના ખર્ચે 33 ફ્રન્ટલાઇન ફાઇટર જેટ્સ, સંખ્યાબંધ મિસાઇલ સિસ્ટમ્સ અને અન્ય સૈન્ય સરંજામ ખરીદવા માટે મંજૂરી આપી હતી જેથી સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતાને બળ મળે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ કહ્યું કે રશિયા પાસેથી 21 મિગ-29 લડાકુ વિમાનો ખરીદાશે જ્યારે સરકારી માલિકીની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી 12 એસયુ-30 એમકેઆઇ વિમાનો મેળવાશે. હાલના 59 મિગ-29 વિમાનોને અપગ્રેડ કરવા માટે અલગ દરખાસ્તને પણ મંજૂરી અપાઇ છે.
મંત્રાલયે નૌકા દળ અને હવાઇ દળ માટે 248 ‘અસ્ત્ર’ એર ટુ એર મિસાઇલ સિસ્ટમ મેળવવા પણ મંજૂરી અપી છે. દેખીતી રેંજ બહારની આ મિસાઇલ સુપરસોનિક વિમાનનો ખાત્મો કરી શકે છે અને દિવસ-રાત બારેમાસ કામ કરી શકે છે
આ તમામ નિર્ણયો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળ મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)ની મીટિંગમાં લેવાયા હતા. સંરક્ષણ ખરીદી મામલે સંરક્ષણ મંત્રાલયની આ સર્વોચ્ચ સંસ્થા છે. ડીએસીએ પિનાક મિસાઇલ સિસ્ટમ્સ અને 1000 કિમીની ફાયરિંગ રેંજ ધરાવતી લૉન્ગ રેંજ લેન્ડ એટેક મિસાઇલ સિસ્ટમ મેળવવા પણ મંજૂરી આપી છે.
અખબારી યાદીમાં મંત્રાલયે હાલની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો અને આપણી સરહદોની સુરક્ષા માટે સશસ્ત્ર દળોને મજબૂત કરવાની જરૂરનો ઉલ્લેખ કર્યો હતો.સાત અઠવાડિયાથી લડાખમાં ભારત અને ચીન વચ્ચે તંગદિલી ચાલી રહી છે. 15 જૂને ચીની દળો સાથેની અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા.
આ ખરીદીમાંથી રૂ. 31130 કરોડની ખરીદી ભારતીય ઉદ્યોગ પાસેથી થશે. ઉપકરણો ભારતમાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગ અને પ્રાઇમ ટાયર વેન્ડર્સ તરીકે ઘણાં એમએસએમઇની ભાગીદારીમાં બનશે.
આ શસ્ત્ર-સરંજામ ખરીદાશે
21 મિગ-29 વિમાનો અને હાલના મિગ વિમાનો અપગ્રેડ: રૂ. ૭૪૧૮ કરોડ
12 સુ-30 વિમાનો: ૧૦૭૩૦ કરોડ રૂ.