ગુજરાતના કેવડિયા ખાતે પીએમ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. એ બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે સાથે સાથે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક પ્રોજેક્ટો સરકારે હાથ ધર્યા છે. આગામી સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી ‘સી’ પ્લેન (Gujarat Seaplane) પણ ચાલુ થવા જઈ રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ‘સી’ પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કર્યા છે. એ પૈકી ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજય ડેમ વચ્ચે ‘સી’ પ્લેન ઉડશે. સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર 3 પર ‘સી’ પ્લેન (Gujarat Seaplane) ઉતરશે, તો એના માટે નર્મદા વન વિભાગ દ્વારા લગભગ 250થી વધુ મગરોનું તળાવ નંબર 3માંથી રેસ્ક્યુ કરી સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે મોકલી અપાયા છે. હાલમાં પણ વન વિભાગ દ્વારા મગરોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ છે.