તેલંગાણામાં ગત 72 કલાકથી ભારે વરસાદ પડતાં સ્થિતિ બગડી છે. ચાર જિલ્લામાં બે મહિનાના વરસાદનો ક્વોટા પૂરો થઇ ગયો છે. નદીઓનું પાણી રોડ અને ઘરોમાં ફરી વળ્યું છે. ગોદાવરી નદીનું જળસ્તર ત્રીજા ચેતવણી સ્તરને પણ વટાવી ગયું છે. જેના લીધે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
ભદ્રાદ્રી કોઠાગુડેમ તંત્ર અનુસાર ભદ્રાચલમમાં ગોદાવરી નદીનું જળસ્તર લગભગ 61.2 ફૂટ હતું. જે અત્યારે 54.4 ફૂટ રહી ગયું. ગોદાવરી નદીનું પાણી મોઢેગાંવ, અશ્વપુરમ ગામ અને ભદ્રાદ્રી કોઠાગુદરી જિલ્લાનાં અન્ય ગામોમાં ફરી વળ્યું છે.
હવામાન વિભાગ અનુસાર 19 ઓગસ્ટની આજુબાજુ ઉત્તર બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનશે. જેના પછી 20 ઓગસ્ટથી ફરી ભારે વરસાદ શરૂ થઈ શકે છે. વારંગલ સહિત અનેક વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો પ્રયાસ કરી રહી છે. સુરક્ષા માટે હેલિકોપ્ટર પણ તહેનાત કરાયા છે. આ મોનસૂન સિઝનમાં તેલંગાણામાં 38%થી વધુ વરસાદ પડ્યો છે. 1 જૂનથી લઈને અત્યાર સુધી 683.9 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
24 કલાકમાં કોંકણ, ગોવા, ગુજરાત અને પૂર્વ મધ્યપ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉત્તર તેલંગાણા, વિદર્ભ, મધ્યપ્રદેશ, હિમાચલ, તટીય કર્ણાટક અને આસામમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે.