Politics પ્રાદેશિક પક્ષો વચ્ચે સેક્યુલર વોટ વહેંચાઈ જાય છે: મહાગઠબંધન નહીં પણ સમ-વિચારસરણીવાલા તમામ પ્રાદેશિક પક્ષો માટે કોંગ્રેસે દ્વાર ખોલી દેવા જોઈએ: જો મહારાષ્ટ્રમાં શરદ પવાર કોંગ્રેસમાં ભળી જાય તો કોંગ્રેસ માટે ખૂલશે નવા દ્વાર
લોકસભાની ચૂંટણીનાં પડધમ વાગવાના શરુ થઈ ગયા છે. ઈન્ડિયા ગઠબંધનમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી ઘટના રોજે રોજ સર્જાઈ રહી છે.કોંગ્રેસને કળ વળી રહી નથીકે કેવી રીતે લોકસભામાં મોદી સરકારની વિરુદ્વના મુદ્દાઓ લઈ જવા. મહાગઠબંધનની ફોર્મ્યુલા પર કામ થઈ રહ્યું છે પરંતુ બંગાળ અને બિહારમાં કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો અનુભવ થઈ ગયો છે.
મહાગઠબંધન એક રીતે તો સગવડિયા લગ્ન જેવું બની રહે છે. ભાજપ હોય કે કોંગ્રેસ એમ બન્ને માટે ગઠબંધન તક પુરતો ફાયદો લેવા અને આપવા માટેનું એક કાઉન્ટર બની ગયું છે. દેશના ઈતિહાસમાં જોવાયું છે કે કોઈ પણ ગઠબંધન ચૂંટણી બાદ કે સરકારમાં આવ્યા બાદ લાંબા સમય સુધી ટકી શકતું નથી. ગઠબંધનની ફોર્મ્યુલા એક રીતે નિષ્ફળ ગયેલી જણાય છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ત્રણ દાયકા જૂની ફોર્મ્યુલા પર કામ કરવાનું શરુ કર્યું છે અને શરદ પવારને કોંગ્રેસમાં લાવવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે. ભત્રીજા અજીત પવારના બળવા પછી શરદ પવારએ એનસીપીનું સિમ્બોલ અને પાર્ટીનું નામ ગુમાવી દીધું છે. ચૂંટણી પંચે અજીત પવારની એનસીપીને માન્યતા આપી દીધી છે આવા સંજોગોમાં શરદ પવારની ઘર વાપસી માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. જો આ પ્રયાસો સફળ રહ્યા તો મહારાષ્ટ્રના રાજકારણમાં નવેસરથી મોટી ઉથલપાથલ જોવા મળવાની છે.
હવે વાત કરીએ મહાગઠબંધનની. મહાગઠબંધનની ફોર્મ્યુલા ચૂંટણીમાં સાવ નિષ્ફળ ગઈ છે. એનું કારણ એ છે કે પ્રાદેશિક પક્ષોને વોટ કદીય કોંગ્રેસને મળતા નથી અને કોંગ્રેસના કમિટેડ વોટ પ્રાદેશિક પક્ષોને મળતા નથી. વોટોનું કન્વર્ઝન થતું નથી અને સીધો લાભ ભાજપને થાય એ સ્વભાવિક છે. એકબીજાને વોટનું રુપાંતર નક્કી કરેલા જે તે પક્ષોનાં ગઠબંધનનાં ઉમેદવારોમાં નહીં થવાના કારણે ગઠબંધન કે મહાગઠબંધનની રચના અપ્રસ્તુત બની જાય છે.
બીજું કે કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ સપા, બસપા,ટીએમસી, એનસીપી, આપ કે આરજેડીના ઉમેદવારને જીતાડવા દિલથી કામે લાગતા નથી તો આ તમામ પાર્ટીના કાર્યકરો કે નેતાઓ પણ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા દિલથી કામ કરતા નથી. ગઠબંધન માત્ર સીટોની વહેંચણી પુરતું જ સીમીત થઈ જાય છે. ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર, બૂથ કે કાઉન્ટીંગ સેન્ટર સુધીનું જડબેસલાક ગઠબંધન જોવા મળતું નથી.
તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ આ બાબતે દર વખતે થાપ ખાઈ જાય છે તો આ તમામ નેતાઓ અને પાર્ટીઓ ગઠબંધનના બદલે સીધી રીતે કોંગ્રેસની સાથે થઈ જવામાં જ અત્યારે તો ફાયદો દેખાય છે. કોંગ્રેસે પણ આ તમામ પાર્ટીઓનો પોતાનામાં સમાવેશ કરાવી, વિલિનીકરણ કરવાનીને ચૂંટણી જંગમાં ઉતરવાનો સમય પાકી ગયો છે. નહિંતર સેક્યુલર વોટોનું આવી રીતે જ ધ્રુવીકરણ થતું રહેશે અને આવી જ રીતે કોંગ્રેસ અને કહેવાતા ગઠબંધનના નામે હારનો સામનો કરતા રહેવું પડશે.