આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે. આમ પણ નાગદેવતાને ભગવાન ભોલેનાથે ખાસ સ્થાન આપ્યુ છે ભોલેનાથના અલંકારના રૂપમાં નાગદેવતા તેમના શરીર પર વિંટળાયેલા રહે છે. આથી આપણે નાગ દેવતાની વિશેષ પૂજા અર્ચના કરીએ છીએ. હિન્દુ શાસ્ત્રથી લઈને આપણી કુંડળીમાં પણ જો કાળ સર્પ દોષ હોય તો જાતકને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો સમય આવે છે.
આપણે ત્યાં માનવામાં આવે છે કે શ્રાવણ મહીનામાં નાગની પૂજા કરવાથી નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. નાગની પૂજાથી નાગદંશનો ડર નહી રહે છે. સાથે સાથે એવો વિશ્વાસ છે કે નાગની પૂજાથી અન્ન ધનના ભંડાર પણ ભરેલા રહે છે.
શા માટે કરાય છે નાગની પૂજા ?
ભારત દેશ કૃષિપ્રધાન દેશ હતો અને છે. નાગ ખેતરનું રક્ષણ કરે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહે છે. જીવ જંતુ, ઉંદર વગેરે જે ઉપજને નુકશાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરને લીલાછમ રાખે છે. નાગ દેવતાએ પ્રકૃત્તિ સાથે માનવીનું તાલમેલ દર્શાવે છે.
જો કે કેટલીક જગ્યાએ અંધશ્રદ્ધાઓ ફેલાવવામાં આવે છે ધર્મ અને આસ્થાના નામે લોકોને છેતરવામાં આવે છે માટે આવા ધતિંગોથી દૂર રહેજો અને ખરા ખોટાનો ભેદ પારખજો. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે તે ઓળંગશો નહી. યાદ રાખો આપણો સનાતન ધર્મ ખુબજ મજબુત છે જે આપણને દરેકને સાથે લઈને જીવતા શિખવે છે. તો આજના દિવસે નાગદેવતાની પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથ નાગદેવતા અને કુદરતનો પણ આભાર માનીએ.