કેન્દ્ર સરકારે ખેડૂતોની માગણીઓને સ્વિકારતો લેખીત પ્રસ્તાવ સંયુક્ત કિસાન મોરચાને આપ્યો છે. જેને લઇને બુધવારે સંયુક્ત કિસાન મોરચાએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારના પ્રસ્તાવ સાથે ખેડૂતોને માની ગયા છે અને સહમતી વ્યક્ત કરી છે.
જોકે ખેડૂતોએ આંદોલન ખત્મ કરવું કે આગળ ચાલુ રાખવું તે અંગેનો નિર્ણય આજે એટલે ગુરુવારે યોજાનારી વધુ એક બેઠકમાં લેવામાં આવશે. તેથી ગુરુવારે આંદોલન અંગે ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતાઓ છે.
બીજી તરફ અગાઉ સરકારે જે લેખિક પ્રસ્તાવ મોકલ્યો હતો તેને ખેડૂતો માનવા તૈયાર થયા નહતા. તેથી સરકારે બુધવારે નવો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ જાણકારી સંયુક્ત કિસાન મોરચાના કમિટી મેમ્બર ગુરનામસિંહે આપી હતી.
ગુરનામસિંહે જણાવ્યું હતું કે, અમારી માગણીઓને લઇને સરકાર સાથે અમારા એગ્રીમેન્ટ થયા છે. જોકે આંદોલન પરત લેવુ કે નહીં તે અંગેનો નિર્ણય ગુરુવારે મળનારી બેઠકમાં લેવામાં આવશે.
સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે આંદોલન પરત લેવા અંગે હજુસુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગુરુવારે બપોરે 12 વાગ્યે ખેડૂતોને બેઠક યોજાશે તેમાં જ આંદોલન અંગે આગામી નિર્ણય લેવામાં આવશે. અમારી જે પણ માગણી હતી તેમાંથી ઘણા ખરા પર સરકાર માની ગઇ છે.
સંયુક્ત કિસાન મોરચાએ એવા સંકેતો આપ્યા છે કે તે હવે આ આંદોલનને પરત લેવા તૈયાર છે. જોકે ગુરુવારે જ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. કિસાન મોરચાએ ટેકાના ભાવ મુદ્દે પાંચ સભ્યોની એક પેનલની પણ રચના કરી છે. જેનો સમાવેશ સરકારની જે પેનલ રચાશે તેમાં કરવામાં આવશે. ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગ ખેડૂતો કરી રહ્યા છે.