જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાની જવાબદારી લેવનાર જૈશના પ્રમુખ મસૂદ અઝહરે ફરીવાર એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે. આ ઓડિયો ક્લિપમાં મસૂદ હુમલા અંગે પ્રતિક્રિયા આપી રહ્યો છે. મસૂદે કહ્યુ કે, પુલાવામા હુમલા જૈશની કોઈ ભૂમિકા નથી અને હું ક્યારેય આદિલ અહમદ ડારને મળ્યો નથી. આ ઉપરાંત તેણે પાકિસ્તાન સરકાર અને મીડિયાને ડરપોક પણ ગણાવ્યા. ઓડિયો ક્લિપમાં તેણે કહ્યુ કે, ચીન હમેશા પાકિસ્તાનનું સમર્થક રહ્યુ છે. જેથી પાકિસ્તાનને ડરવાની કોઈ જરૂર નથી. ભારતમાં ચૂંટણી આવી રહી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં નિષ્ફળ ગયા છે. મસૂદે પાકિસ્તાનને અપીલ કરી કે, સરકારે ભારતના દબાણમાં આવવાની જરૂર નથી. મહત્વપૂર્ણ છે કે, અમેરિકા, ફ્રાંસ અને રશિયા જેવા દેશો મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી મસૂદ અઝહર ફફડ્યો છે.
પુલવામા આતંકી હુમલા બાદ દુનિયાભરમાંથી પાકિસ્તાનની સરકારને ચારેતરફથી ફટકાર મળી રહ્યો છે. મસૂદ અઝહરે પાકિસ્તાન સરકારને ડરપોક ગણાવી છે. મસૂદે કહ્યુ કે મીડિયા અને સરકાર ખુબજ ડરી રહી છે. મસૂદ અઝહરે તેના આ ઓડિયોમાં આદિલ અહમદ ડારનું નામ લીધુ, આપને જણાવી દઈએ કે પુલવામા આત્મઘાતી હુમલો કરનાર આદિલ જ હતો. આદિલે સીઆરપીએફના કાફલા સાથે ગાડીની ટક્કર મારી હતી.
ઓડિયોમાં ઝેર ઓકતા મસૂદ અઝહરે કહયુ કે જેટલી ગાળો આપવી હોય આપો મને પણ આદિલ વિરૂદ્ધ એક શબ્દ ન કહેતા, આ કાશ્મીરની લડાઈ છે અને તેને કોઈ અટકાવી નહી શકે. ત્યાં અમારે કોઈ વિદેશી તાકાતના સહારાની જરૂર નથી.
તેણે આ ઓડિયોમાં આદિલ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોવાનો ઇન્કાર કર્યો હતો. તેણે કહ્યુ આદિલને સમગ્ર દુનિયા મારી સાથે જોડી રહી છે, મારા તો અરમાન હતા કે કાશ હું ક્યારેક તેને મળ્યો હોત. જો આદિલના કારણે મને મારી નાખવામાં આવશે તો કોઈ ગમ નથી આ મારા માટે શહીદી હશે.
પોતાના આ ઓડિયોમાં મસૂદ અઝહરે પાકિસ્તાની કોલમિસ્ટ અયાઝના ભરપેટ વખાણ કર્યા, જેણે આદિલ અહમદના વખાણ કર્યા હતા. તેણે પાકિસ્તાનને હિન્દુસ્તાનથી ડરવાની જરૂર નથી એવો રાગ આલાપ્યો હતો. આપને જણાવી દઈએ કે અમેરિકા, ફ્રાન્સ, રશિયા જેવા કેટલાક દેશોએ જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા પર ભારતના અભિયાનમાં સાથ આપ્યો છે. આ ઘટના બાદ જૈશ બોખલાઈ ગયુ છે.