ભારત ભારે મતોથી સંયુક્ત રાષ્ટ્રો સુરક્ષા પરિષદના બિન-કાયમી સભ્ય તરીકે ચૂંટાયું હતું, એક અભૂતપૂર્વ ચૂંટણીમાં જ્યાં 192 સભ્યો દેશોના રાજદૂતોએ કોવિડ-19 મહામારીના કારણે માસ્ક પહેરીને અને સખત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને મત આપ્યો હતો.જનરલ એસેમ્બલીમાં 192 મતોમાંથી ભારતે 184 મત મેળવ્યા હતા. ભારત આઠમી વખત યુએનની ઉચ્ચ સંસ્થામાં બેસશે જેમાં 5 કાયમી અને 10 બિન-કાયમી સભ્યો હોય છે.
યુએનએસસીમાં ભારતનો બિન-કાયમી સભ્ય તરીકેનો 2 વર્ષનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2021થી શરૂ થશે.ભારતની સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેએ પણ બુધવારે આયોજિત ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.આફ્રિકા અને એશિયા-પ્રશાંત દેશોના સમૂહ માટે એક બેઠક ફાળવવામાં આવે છે જેના માટે જિબુટી અને કેન્યા હરિફાઈમાં હતા પણ કોઈને પણ બે-તૃત્યાંશ બહુમતી ન મળતા ગુરુવારે આ માટે મતદાન કરાશે.સુરક્ષા પરિષદની ચૂંટણી ઉપરાંત સામાન્ય સભાએ તુર્કીના પીઢ રાજદૂત અને સાંસદ વોલ્કાન બોઝકીરને સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના આવનારા સત્ર માટે અધ્યક્ષ તરીકે ચૂંટ્યા હતા.
બોઝકીર સામાન્ય સભાના સીમાચિન્હ સમાન 75મા સત્રની અધ્યક્ષતા કરશે જે સપ્ટેમ્બરમાં શરૂ થશે.સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક પરિષદ માટે 18 સભ્ય દેશોની પણ 3 વર્ષના કાર્યકાળ માટે ચૂંટણી થઈ હતી.3 મહત્વની ચૂંટણીઓ માટે પ્રતિષ્ઠિત જનરલ એસેમ્બલીમાં વિશેષ આયોજન કરાયું હતું જેમાં કોરોન વાયરસ વૈશ્વિક મહામારીના કારણે સામાજિક અંતર અને તબીબ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી.દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું યુએન સુરક્ષા પરિષદના સભ્યપદ માટે ભારતને મળેલા વૈશ્વિક સમુદાયના જબરજસ્ત ટેકા બદલ તેઓ હ્રદયથી આભારી છે.તેમણે કહ્યું હતું, ભારત સમસ્ત સભ્ય દેશો સાથે મળીને વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને એકતા માટે કામ કરશે.