જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલા બાદ આજે સવારે સુરક્ષા મામલાની કેબિનેટ કમિટિ(કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટી) ની અગત્યની મળી હતી. બેઠક સવારે 9.15 વાગ્યે મળી હતી. બીજી તરફ પુલવામા હુમલા બાદ જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નાં 37 જવાનોનાં મોત થયા છે.
સીસીએસની બેઠક બાદ નાણામંત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું. અરુણ જેટલીએ કહ્યું કે, “સીસીએસની બેઠકમાં શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન વાસ્તવિક પરિસ્થિતિનું આકલન કરવમાં આવ્યું હતું. હવે આ મામલે વિદેશ મંત્રાલય કુટનીતિક પગલાં ભરશે. આ ઉપરાંત પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લેવાનો નિર્ણય લેવાયો છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે. જે લોકોએ ગુનો કર્યો છે અને જેમણે તેને સમર્થન કર્યું છે તેને ભારે કિંમત ચુકવવી પડશે. રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરથી પરત આવ્યા બાદ શનિવારે તમામ પક્ષોની બેઠકને સંબોધન કરીને હુમલા અંગે માહિતી આપશે.”