સંશોધિતા નાગરિકતા કાયદા અને એનઆરસીને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. એક ઓફિશિયલ સૂત્ર અનુસાર 1987 પહેલા ભારતમાં જન્મેલા કોઇ પણ વ્યક્તિ અથવા જેમના માતા-પિતા 1987 પહેલા જન્મ્યા હોય, કાયદા અનુસાર એક ભારતીય નાગરિક હશે. સંશોધિત નાગરિકતા કાયદા અથવા દેશમાં લાગુ થઇ રહેલી એનઆરસીથી કોઇએ ડરવાની જરૂર નથી.
નાગરિકતા અધિનિયમ સંશોધન 2004 અનુસાર અસમ છોડીને દેશમાં જો કોઇના માતા-પિતામાં કોઇ પણ એક ભારતનો નાગરિક છે અને ગેરકાયદે અપ્રવાસી નથી તો તેમના બાળકોને ભારતીય નાગરિક માનવામાં આવશે. અધિકારી અનુસાર જો કોઇ પણ વ્યક્તિ ભારતમાં 1987 પહેલા જન્મ્યો છે, કાયદા અનુસાર તેને ભારતનો નાગરિક માનવામાં આવશે. અસમ મામલે કટ ઓફ ડેટ 1971 છે.
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન અને તાજેતરમાં બનેલા કાયદા વિશે સોશિયલ મીડિયા પર કેટલીક અફવા ચાલી રહી છે. આ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરવી પડી છે. અધિકારીએ કહ્યું કે, જેમનો જન્મ 1987 પહેલા ભારતમાં થયો હોય અથવા જેમના માતા-પિતાનો જન્મ તે વર્ષ પહેલા થયો છે, તેમણે કાયદા હેઠળ ભારતીય માનવામાં આવશે. અસમના મામલે ભારતીય નાગરિક હોવાની ઓળખ 1971ને આધાર વર્ષ બનાવવામાં આવ્યુ છે.