દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે જીવલેણ વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે દેશની અનેક આઈટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા પૂરી પાડી રહી છે.
જો કે સરકારે મંગળવારે જણાવ્યું કે, IT અને BPO કંપનીઓમાં “વર્ક ફ્રોમ હોમ” માટેની મુદ્દતને 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. ઘરેથી કામ કરવાની સમય મર્યાદા 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી હતી.
ટેલિકૉમ ડિપાર્ટમેન્ટે મોડી રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું કે, કોવિડ-19ના કારણે સર્જાયેલી સ્થિતિને જોતા ઘરેથી કામ કરવાની સુવિધા માટે નિયમો અને શરતોમાં આપેલી છૂટને 31 ડિસેમ્બર, 2020 સુધી વધારી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે, હાલ આઈટી કંપનીઓના લગભગ 85 ટકા કર્મચારીઓ ઘરેથી જ કામ કરી રહ્યાં છે. માત્ર જરૂરી હોય ત્યારે અને જરૂરી કામ કરતા કર્મચારીઓ જ ઓફિસ જઈ રહ્યાં છે.