જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સ્થળે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે અને એક જવાન શહીદ થયો છે. આ એન્કાઉન્ટરમાં એક નાગરિકનું પણ મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ, બડગામ અને શ્રીનગર જિલ્લામાં આતંકીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ ચાલી રહી છે. ગુરુવારે વહેલી સવારે આ ત્રણેય સ્થળો પર આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાદળો અને પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે અનંતનાગના અંતરિયાળ વિસ્તારમાં બે આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. આ દરમિયાન એક જવાન પણ શહીદ થયો હતો. શ્રીનગર સહિતના ત્રણેય જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
બીજું એન્કાઉન્ટર શ્રીનગર નજીક નૂરબાગ વિસ્તારમાં ચાલી રહ્યું છે. અહીં એક ઘરમાં બે આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. બંને તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં ઘરના માલિકે જીવ ગુમાવ્યો હતો. જ્યારે બંને આતંકીઓ ભાગીને નજીકના જંગલમાં છુપાઈ ગયા છે. સુરક્ષાદળોએ આ આતંકીઓને શોધી કાઢવા માટે જંગલમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ત્રીજું એન્કાઉન્ટર બડગામના ચંદુરા વિસ્તારમાં થયું છે. આતંકીઓ ભાગીને એક ધર્મ સ્થળમાં છૂપાઈ ગયા હતા. સુરક્ષાદળોએ મુસ્લિમ સમાજના વડીલો પાસે આ આતંકીઓને બહાર નીકળી સરન્ડર કરવાની અપીલ કરાવી હતી. આ અગાઉ બુધવારે સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. તેમાં એક લશ્કર-એ-તોઈબાનો ટોપ કમાન્ડર અબુ માજ પણ સામેલ હતો. અબુ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સેનાની ટુકડી પર થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં ભારતીય સેનાના મેજર સતીશ દહિયા શહીદ થયા હતા. મેજર દહિયા સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ સામેલ હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.