ઝારખંડ વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપ્પન થયા બાદ સૌ કોઈ તેના પરિણામોની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. 5 તબક્કાઓમાં યોજાયેલા મતદાન બાદ આજે પરિણામો આવશે. જેમાં સ્પષ્ટ થઈ જશે કે, કઈ પાર્ટીને સત્તા મળે છે.
હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. ભાજપના રઘુવરદાસ રાજ્યના પ્રથમ એવા મુખ્યમંત્રી છે, જેમણે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. બીજી તરફ ભાજપ વિરૂદ્ધ ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળે ગઠબંધનમાં જંપલાવ્યું છે. આ ગઠબંધને હેમંત સોરેનને પોતાના મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કર્યાં છે.
વિધાનસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બહાર પાડવામાં આવેલા મોટા ભાગના એક્ઝિટ પોલમાં ઝારખંડમાં ભાજપનો પરાજય થાય અને ગઠબંધનની જીતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ઝારખંડમાં મતદારોને રિઝવવા માટે તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યો હતું. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મોટા નેતાઓએ રેલીઓને સંબોધી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. પોતાના ચૂંટણી ભાષણોમાં દરેક પાર્ટીઓને વાયદાઓ કર્યા અને દરમિયાન નાગરિક્તા કાયદા, આર્થિક મંદી, મોંઘવારી અને પાકિસ્તાનના મુદ્દા પણ ખુબ જ ઉછળ્યા હતા.