વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કૉરિડોરનુ ઉદ્ઘાટન કરવા જાય તે પહેલા એક નવો વિવાદ ઉભો થયો છે. કેમ કે, મોદીને વેલકમ કરવા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેથી વિશ્વનાથ મંદિર તરફથી જનારા રસ્તાને નારંગી રંગથી રંગવામાં આવી રહી છે. તેવામાં તંત્ર દ્વારા એક મસ્જિદનો રંગ પણ નારંગી કરી દેવાયો છે, જેને લઈને મુસ્લિમ સમુદાયમાં નારાજગી જોવા મળી રહી છે. મુસ્લિમ સમુદાયે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી પર તાનાશાહી વલણ અપનાવવાો આરોપ લગાવ્યો છે.
વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી એકરુપતા લાવવાની વાતો કરી રહ્યુ છે તો બીજી તરફ લોકો આરોપ મૂકી રહ્યાં છે કે તેમના પૂછ્યા વિના જ ઈમારતોનો કલર બદલી નાંખવામાં આવી રહ્યો છે. વારાણસીમાં બુલાનાલા વિસ્તારમાં રસ્તા પર જ એક ઘણી જૂની મસ્જિદ છે જેને બુલાનાલા મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો રંગ સફેદ હતો. આરોપ છે કે ઓથોરિટીએ કમેટીની પરવાનગી લીધા વગર જ સફેદ રંગ પર આછો નારંગી રંગ રાતોરાત પેઈન્ટ કરી દીધો. જેનાથી મસ્જિદ સાથે જોડાયેલા લોકોમાં ઘણો રોષ છે. તેઓ આને તાનાશાહી વલણ ગણાવી રહ્યા છે.
મસ્જિદની દેખરેખ કરનારી અંજુમન ઈન્તજામિયા મસાજિદ કમિટીના મોહમ્મદ એજાજ ઈસ્લાહીએ જણાવ્યુ કે તેમની મસ્જિદનો રંગ તેમને પૂછ્યા વગર જ રાતોરાત બદલી નાંખવામાં આવ્યો છે. જો કંઈ કરવુ જ હતું તો પછી એક વાર વાત કરવી જોઈએ. તેમણે કહ્યુ કે આ તાનાશાહી વલણ છે. પહેલા તેમની મસ્જિદ સફેદ હતી જે હવે કેસરિયા રંગની થઈ ગઈ છે.
તેમણે કહ્યું આના પર અમે વાંધો ઉઠાવ્યો છે અને ડીએમને મળવાની કોશિશ કરી હતી પરંતુ મુલાકાત થઈ નહતી. તે ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર કાર્યાલયે પણ કલરને લઈને વાંધો ઉઠાવ્યો છે. તેમને કહ્યું છે કે, આ રંગ ખોટો છે.
મોહમ્મદ એજાજે જણાવ્યુ કે અમે પહેલા જેવો સફેદ રંગ કરાવીશુ અને આનો સમગ્ર ખર્ચ તેમની કમિટી જ ઉઠાવશે. જે નુકસાન થશે તે જાતે જ ચૂકવવુ પડશે. તેમણે કહ્યુ કે આ કામને લઈને તે લોકોમાં ઘણી નારાજગી છે, પરંતુ માહોલ કંઈક એવો છે તેથી કંઈ કહી શકાય તેમ નથી. તેમણે કહ્યુ કે પીએમ મોદી કોરિડોરનુ ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે અને એક કલર કરીને એકરૂપતા દર્શાવીને સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે તમામ લોકો તેમની સાથે છે પરંતુ એવું છે નહીં.