1 મહિના પહેલા સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉન કરવામાં આવ્યં હતું. તે સમયે ભારતમાં કોરોના સંક્રમણના કેસ 500ની આસપાસ હતાં. જો કે તે વાતના સ્પષ્ટ સંકેત હતાં કે કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા જઇ રહ્યો છે. 24 માર્ચે દેશભરમાં કોરોના સાથે સંબંધિત કેસનો સરેરાશ દૈનિક વૃદ્ધિ દર 21.6 ટકા હતો જે હવે ઘટીને 8.1 ટકા સુધી આવી ચુક્યો છે. જો 21.6 ટકાના દરે કેસ વધતાં રહ્યો હોત તો અત્યાર સુધી દેશમાં કોરોનાના 2 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યાં હોત.
જો કે આ સમયે ભારતમાં ચાલી રહેલો 8.1 ટકા દૈનિક વૃદ્ધિ દર કોરોના વાયરસથી ગંભીર રીતે પ્રભાવિત દેશોની તુલનામાં હજુ પણ વધારે છે. લોકડાઉનનું પાંચમું અઠવાડિયુ ચાલી રહ્યું છે. આટલા સમયમાં જર્મનીમાં કોરોના કેસનો વૃદ્ધિદર 2 ટકા જ્યારે અમેરિકામાં 4.8 ટકા સુધી આવી ગયો હતો. ભારતમાં જે દૈનિક વૃદ્ધિદર ચાલી રહ્યો છે તે હિસાબે આગામી અઠવાડિયાના અંત સુધીમાં આપણે આશરે 40 હજાર કોરોના કેસની નજીક પહોંચી જઇશું. આ દરથી આગામી 15 દિવસમાં આ સંખ્યા 70 હજારની આસપાસ અને મેના અંત સુધીમાં અઢી લાખની આસપાસ પહોંચી જશે.