મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે ઘરેલું હવાઈ સેવાઓ માટેની ફ્લાઇટ્સને મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે, સરકારે 50 ફ્લાઇટ્સને મંજૂરી આપી છે, જેમાં 25 ફ્લાઇટ્સ ટેક ઓફ અને 25 ફ્લાઇટ્સ લેન્ડ કરશે. મલિકે કહ્યું કે, ધીરે ધીરે ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા બહાર પાડશે.
પહેલાં સમય માંગ્યો હતો
તે જ સમયે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 24 મે, રવિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસે મહારાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સંપૂર્ણ કામગીરી શરૂ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, સોમવારથી મહારાષ્ટ્રથી શક્ય તેટલી સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ થવી જોઈએ. તેમણે ઓનલાઇન બ્રીફિંગમાં કહ્યું કે, આજે મેં નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને કામગીરીને પુન:સ્થાપિત કરવા માટે વધુ સમયની જરૂર છે.