Manipur Sikkim floods 2025 : આસામ, મિઝોરમ અને અન્ય રાજ્યોમાં પણ વરસાદથી તબાહી
Manipur Sikkim floods 2025 : સિક્કિમ-મણિપુર સહિતના ઉ. પુર્વના રાજ્યોમાં વરસાદથી હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદથી ૩ર ના મોત થયા છે અને ૩૩૦૦ થી વધુ મકાનો ધરાશાયી થયા છે. ચોતરફ જળબંબાકાર સર્જાયો છે.
ઉત્તર-પૂર્વિય રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. મણિપુરમાં વરસાદે તબાહી મચાવી છે. પૂરની સ્થિતિમાં ૧૯ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ સત્તાવાર માહિતી આપી છે.
છેલ્લા ચાર દિવસમાં સતત વરસી રહેલા અનારાધાર વરસાદના કારણે પૂર આવતા ૩ર લોકોના મોત થયા છે. ૩૩૬પ ઘર તણાયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈમ્ફાલના પૂર્વિય જિલ્લામાં અનેક રાહત શિબિર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદના કારણે મણિપુરના સેનાપતિ જિલ્લાની સાથે સાથે ઈમ્ફાલના પુર્વિય જિલ્લા હિનગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ નુક્સાન થયું છે. તદુપરાંત આસામ, સિક્કિમ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને મણિપુરમાં પણ મુશળધાર વરસાદ, પૂર, અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. સિક્કિમમાં ફસાયેલા પર્યટકોને પોલીસ, સ્થાનિકો, વન કર્મીઓ અને લાચુંગ હોટલ એસોસિએશન દ્વારા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
લાયુંગ હોટલ એસોસિએશનના અધ્યક્ષ ગ્યાત્સો લાચુંગપા સ્થાનિક પ્રશાસનના સહયોગમાં અટવાયેલા લોકોને બહાર સુરક્ષિત ખસેડી રહ્યા હોવાનું જાણવા મળે છે. અરૂણાચલ પ્રદેશમાં સેનાએ અત્યાર સુધીમાં ભારે વરસાદમાંથી ૧૪ લોકોને બચાવ્યા છે. અનેક રસ્તાઓ, ગામડાંઓમાં પાણી ફરી વળતા ભારતીય વાયુ સેનાએ બચાવ કામગીરી હાથ ધરવી પડી છે, જેમાં અરૂણાચલ પ્રદેશના નિચાણવાળા વિસ્તાર દિબંગ ખીણમાં પૂરગ્રસ્ત બોમઝીર નદીમાં ફસાયેલા ૧૪ લોકોને બચાવવામાં આવ્યા છે