નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર દેશમાં આતંક મચાવી રહ્યો છે. રોજેરોજ કોરોના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના કારણે ચાર હજારથી વધુ મોત નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19ના 54,022 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે એકલા મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 898 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યારસુધી 74,413 લોકોનાં મોત થયા છે.
13 એપ્રિલે 2021 મોતનો આંકડો એક હજારને પાર ગયો હતો
આ પહેલા 13 એપ્રિલના રોજ મોતનો આંકડો એક હજારને પાર થયો હતો. જે બાદમાં 20 એપ્રિલના રોજ બે હજારથી વધારે મોત નોંધાયા હતા. 27 એપ્રિલના રોજ આ આંકડો ત્રણ હજારને પાર થયો હતો. જેના 10 જ દિવસની અંદર મોતનો આંકડો ચાર હજારને પાર થઈ ગયો છે.
ગુજરાતમાં 119 દર્દીઓના મોત
રાજ્યમાં શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,064 કેસ નોંધાયા છે. જેની સામે 13,085 દર્દીઓ સાજા થયા છે. આમ સતત ત્રીજા દિવસે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 119 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,154 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 76.52 ટકા છે.
છત્તીસગઢમાં નવા 13,628 કેસ
છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,628 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 8,30,117 થઈ છે.
મધ્ય પ્રદેશમાં કોરોનાથી 84નાં મોત
મધ્ય પ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 11,708 કેસ નોંધાયા છે. આ સાથે જ પ્રદેશમાં અત્યારસુધી કોરોના સંક્રમણના કુલ 6,49,114 કેસ નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 84 લોકોનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા 6,244 પર પહોંચી છે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 372 દર્દીનાં મોત
ઉત્તર પ્રદેશમાં શુક્રવારે કોરોના સંક્રમણથી 372 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન રાજ્યમાં કોરના સંક્રમણના 28,076 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધી કોરોનાથી 14,873 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 28,076 નવા કેસ સામે કુલ પોઝિટિવ કેસનો આંકડો 14,53,679 થયો છે.