મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક શખ્સે રવિવારે સવારે પોતાની લિવ ઇન પાર્ટનરનું ગળુ વેતરીને હત્યા કરી નાંખી. બંને વચ્ચે સાસુ અને જમાઇના સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. સૂચના મેળવીને પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યું છે. ઘટના ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારની છે.
પોલીસે જણાવ્યા અનુસાર અશોક વિહાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા શાહરૂખ ખાન નામના યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હતી. શનિવારે રાતે શાહીન અને શાહરૂખ વચ્ચે ઝગડો થઇ ગયો. ઝગડાનું કારણ શાહીનો દેહ વેપાર જાણવા મળી રહ્યું છે. શાહરૂખે શાહીનને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે શાહરૂખની વાત ન માની અને તેને લઇને થયેલા ઝગડામાં રવિવારે શાહરૂખે શાહીનનું ગળુ કાપી નાંખ્યુ.
હત્યા બાદ પોતે જ મિત્રને જાણ કરી
હત્યા કર્યા બાદ શાહરૂખે પોતે જ આ વાતની જાણ પોતાના એક મિત્રને કરી. ઘટના સાથે સંબંધિત જાણકારી મિત્રને આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઇ ગયો. કોઇએ તેની સૂચના પોલીસને આપી. સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોહીથી ખરડાયેલો શાહીનનો મૃતદેહ પડ્યો હતો.
સાસુ-જમાઇના હતાં સંબંધ
ચોંકાવનારી વાત એ છે કે હત્યાના આરોપી શાહરૂખે થોડા વર્ષો પહેલાં જ શાહીનની દિકરી સાથે નિકાહ કર્યા હતા. શાહરૂખે નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ રાખ્યા. શાહીને પોતાના પતિ સાથે તલાક લઇ લીધાં. તલાક બાદ શાહીન પોતાના જમાઇ શાહરૂખ સાથે અશોકા ગાર્ડનના અશોક વિહાર કોલોનીના એક ફ્લેટમાં રહેતી હતી.
પોલીસે જણાવ્યા અનુસાર શાહીન દેહ વેપાર સાથે જોડાયેલી હતી અને ગત વર્ષે જ તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરાર શાહરૂખની તલાશમાં છે.