Naushad Moosa :તાજિકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિક સામેની મૈત્રીપૂર્ણ મેચો દ્વારા કોચ મૂસા ખેલાડીઓની કાબેલિયત પરખશે
Naushad Moosa :AFC U23 એશિયન કપ 2026 ક્વોલિફાયર્સ માટે તૈયારીના ભાગરૂપે ભારતીય U23 ફૂટબોલ ટીમના મુખ્ય કોચ નૌશાદ મૂસાએ 16 જૂને તાજિકિસ્તાન પ્રવાસ માટે 23 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી. ટીમ 18 જૂને તાજિકિસ્તાન સામે અને 21 જૂને કિર્ગિઝ રિપબ્લિક સામે મૈત્રીપૂર્ણ મેચ રમીને સપ્ટેમ્બરમાં યોજાનારા ક્વોલિફાયર્સ માટે તૈયારી કરશે.
ટીમ હાલ કોલકાતા સ્થિત AIFF નેશનલ સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે 1 જૂનથી ટ્રેનિંગ કેમ્પમાં છે. બંને મૈત્રીમેચો તાજિકિસ્તાનના હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે રમાશે અને ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે.
મૂસાએ જણાવ્યું કે, “આ મેચો અમને ખેલાડીઓના સ્તર અને ત્રુટીઓ ઓળખવામાં મદદરૂપ થશે. અમે અગાઉની પ્રેક્ટિસ મેચોમાં મોટા તફાવતથી જીત્યા હતા, પણ સ્પર્ધાત્મક તીવ્રતા ઓછી હતી. હવે અમારી સામે ઉચ્ચ સ્તરની ટીમો છે.”
ટીમમાં જે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સુહેલ અહમદ ભટ, આયુષ છેત્રી અને ટેકચમ અભિષેક સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ તાજેતરમાં જ સિનિયર ટીમની ફરજ પુરી કરી કેમ્પમાં જોડાયા છે. કોચે કહ્યું કે આ ખેલાડીઓના ઉમેરાથી ટીમ મજબૂત બની છે.
મૂસાએ કહ્યું, “આ ત્રણે ખેલાડીઓના અનુભવથી યુવા ખેલાડીઓને માર્ગદર્શન મળશે. આ મેચો આપણને ક્વોલિફાયર્સ પૂર્વે શ્રેષ્ઠ કોમ્બિનેશન પસંદ કરવામાં મદદ કરશે.”
ભારત U23નો મૈત્રીમેચ કાર્યક્રમ:
18 જૂન: ભારત vs તાજિકિસ્તાન
21 જૂન: ભારત vs કિર્ગિઝ રિપબ્લિક
સ્થળ: હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમ, તાજિકિસ્તાન