ગુજરાત સરકારે નવરાત્રિનું આયોજન કરવાના આપેલા સંકેત સામે તબીબી જગતે નારાજગી દર્શાવી છે. પ્રવર્તમાન સંજોગોમાં નવરાત્રિનું આયોજન થશે તો લોકો મોટાપાયે એકત્ર થઇ શકે છે અને જેના કારણે સંક્રમણ વધી શકે છે તેવી અમદાવાદ મેડિકલ એસોસિયેશને આશંકા વ્યક્ત કરી છે. આ વખતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે નહીં માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન પત્ર લખીને સરકારને રજૂઆત કરશે.
આગામી ૧૭ ઓક્ટોબર-શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. નવરાત્રિના આયોજનને મંજૂરી આપવા માટે ઇવેન્ટ મેનેજરો દ્વારા રાજ્ય સરકાર પર દબાણ ઉભું કરવામાં આવ્યું છે. જેના પ્રતિસાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, ‘નવરાત્રિમાં શક્ય તેટલી છૂટ આપીશું.’ પરંતુ નવરાત્રિના આયોજન મુદ્દે તબીબી આલમે લાલ બત્તી ધરી છે.
આ સાથે તેમણે તેમણે ઉમેર્યું છે કે જો નવરાત્રિનું આયોજન કરવામાં આવશે તો કોરોના વધુ ફેલાશે. બહાર નીકળીને ગરબા ગાવા તે જીવન જરૃરિયાતની બાબત નથી. આ વર્ષે બધાએ સુરક્ષિત રહેવું જરૃરી છે. સાજા-સારા રહીશું તો આવતા વર્ષે ગરબા કરી જ શકાશે. જીવ જોખમમાં મૂકાય તેવું કોઇ કામ ન કરો. નવરાત્રિનું આયોજન કરવાની છૂટ નહીં આપવા ડોક્ટરો સરકારને લેખિતમાં રજૂઆત કરશે. કેમકે, નવરાત્રિની છૂટ આપવી એ કોઇપણ રીતે ડહાપણભર્યું પગલું નથી. ‘