નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2020 રજૂ કર્યું છે, જેમાં અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે અનેક મોટા પગલા ભર્યા છે. શિક્ષા માટે 99,300 કરોડ રુપિયા ફાળવવાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સરકાર તરફથી જલ્દી નવી શિક્ષા નીતિની જાહેરાત કરવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લા હોસ્પિટલોમાં હવે મેડિકલ કૉલેજો બનાવવાની યોજના પણ બનાવવામાં આવશે. એટલે કે, દેશમાં ડૉક્ટરોની ઘટને પૂરી કરવા માટે હવે દરેક જિલ્લાઓમાં એક મેડિકલ કૉલેજ ખોલવામાં આવશે. લોકલ બૉડીમાં કામ કરવા માટે યુવા એન્જિનિયર્સને ઈન્ટર્નશિપની સુવિધા આપવામાં આવશે.
નાણામંત્રીએ જણાવ્યું કે, ઉચ્ચ શિક્ષણને શ્રેષ્ઠ બનાવવા માટે સરકાર કામ કરી રહી છે. દુનિયાના વિદ્યાર્થીઓને ભારતમાં ભણવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે. ભારતના વિદ્યાર્થીઓ પણ એશિયા, આફ્રિકાના દેશમાં મોકલવામાં આવશે. બજેટમાં સ્કિલ ઈન્ડિયાના પ્રોગ્રામ માટે 3 હજાર કરોડ રુપિયા આપવામાં આવ્યા છે. આ સાથે જ 150 ઉચ્ચ શિક્ષણ કેન્દ્રોમાં ડિગ્રી આપવામાં આવશે.
પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું કે, ક્વાલિટી એજ્યુકેશન માટે ડિગ્રી લેવલ ઓનલાઈ સ્કીમ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત નેશનલ પોલીસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ડોક્ટરો માટે એક બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જેમાં પ્રેક્ટિસ કરવા માટે ડોક્ટરોને પ્રોફેશનલ વાતો શિખવાડવામાં આવશે.