રૂપિયા ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટો ૨૦૧૯-૨૦ના વર્ષમાં છાપવામાં આવી ન હતી અને આટલા વર્ષ દરમ્યાન આ નોટોનું સર્ક્યુલેશન ઘટ્યું છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો વાર્ષિક અહેવાલ જણાવે છે.
માર્ચ ૨૦૧૮ના અંતે રૂ. બે હજારની ૩૩૬૩૨ લાખ નોટો ચલણમાં ફરતી હતી તે માર્ચ-૨૦૧૯ના અંત સુધીમાં ઘટીને ૩૨૯૧૦ લાખ થઇ ગઇ હતી અને માર્ચ-૨૦૨૦ના અંત સુધીમાં તો ૨૭૩૯૮ લાખ થઇ ગઇ હતી એમ આરબીઆઇનો વાર્ષિક અહેવાલ જણાવે છે.
૨૦૦૦ રૂપિયાના ચલણ મૂલ્યની નોટોનું પ્રમાણ કુલ ચલણી નોટોમાં માર્ચ-૨૦૨૦ના અંતે ૨.૪ ટકા હતું જે માર્ચ-૨૦૧૯ના અંતે ૩ ટકા અને માર્ચ-૨૦૧૮ના અંતે ૩.૩ ટકા હતું. મૂલ્યની રીતે જોઇએ તો પણ દેશના કુલ ચલણમાં ૨૦૦૦ની નોટોનું કુલ મૂલ્ય ઘટ્યું છે. માર્ચ-૨૦૨૦ના અંતે દેશની ચલણી નોટોના કુલ મૂલ્યમાં બે હજારની નોટોનું મૂલ્ય ૨૨.૭ ટકા હતું જે માર્ચ-૨૦૧૯ અને માર્ચ-૨૦૧૮ના અંતે અનુક્રમે ૩૧.૨ અને ૩૭.૨ ટકા હતું.
બીજી બાજુ ૨૦૧૮થી શરૂ કરીને અત્યાર સુધીમાં રૂ. પ૦૦ અને રૂ. ૨૦૦ની નોટોનું પ્રમાણ જથ્થા અને મૂલ્ય બંનેની રીતે વધ્યું છે. આરબીઆઇએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે ૨૦૧૯-૨૦ દરમ્યાન રૂ. બે હજારની નોટો છાપવા માટેનો કોઇ ઓર્ડર પણ સરકાર તરફથી મળ્યો નથી અને આ નોટોનો નવો પુરવઠો પણ બહાર પાડવામાં આવ્યો નથી.
આરબીઆઇના અહેવાલમાં વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ દરમ્યાન કુલ ૨૯૬૬૯૫ નકલી નોટો પકડાઇ હતી. રૂ. ૧૦, પ૦, ૨૦૦ અને પ૦૦ની નોટોની નકલી નોટો પકડાવાનું પ્રમાણ વધ્યું છે જયારે રૂ. ૨૦, ૧૦૦ અને ૨૦૦૦ની નોટોની નકલી નોટો પકડાવાનું પ્રમાણ ઘટ્યું છે એ મુજબ આ અહેવાલ જણાવે છે.