નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ સત્ર દરમિયાન સાંસદોની ગેરહાજરી પર કડક વલણ અપનાવ્યું છે. ભાજપ સંસદીય દળની બેઠકમાં તેમણે કહ્યું કે તમામ સાંસદોએ ગૃહમાં હાજર રહેવું જોઈએ પછી બિલ હોય કે ન હોય. પીએમએ કડક શબ્દોમાં કહ્યું કે સાંસદોએ પોતાનામાં બદલાવ લાવવો જોઈએ, નહીં તો પરિવર્તન આપોઆપ થઈ જશે. પીએમએ બીજેપી સાંસદોને કહ્યું, ‘કૃપા કરીને સંસદ અને સભાઓમાં નિયમિત હાજર રહો. બાળકની જેમ તેના વિશે સતત ભાર આપતા રહેવું મારા માટે સારું નથી. જો તમે તમારી જાતને નહીં બદલો તો આવનારા સમયમાં પરિવર્તન આવશે.
પીએમનું આ કડક વલણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે વિપક્ષ સંસદના શિયાળુ સત્રમાં એકતા બતાવીને સરકાર પર સતત નિશાન સાધી રહ્યું છે. નાગાલેન્ડ ગોળીબાર અને સાંસદોના સસ્પેન્શન સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પણ રાજ્યસભામાં ભાજપના સાંસદોની ગેરહાજરીના મુદ્દે પીએમએ નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોએ આ માહિતી આપી હતી. ચોમાસુ સત્ર દરમિયાન જ્યારે ઉપલા ગૃહમાં બિલ પસાર થયું ત્યારે ઘણા સાંસદો હાજર ન હતા. પીએમએ આ અંગે કડક વલણ અપનાવ્યું હતુ. એટલું જ નહીં તેમણે સંસદીય દળની બેઠકમાં રાજ્યસભામાંથી ગેરહાજર રહેલા સાંસદોના નામ પણ માંગ્યા હતા.