ગુજરાતના જામનગરમાં ગત બે દિવસ પહેલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તે દર્દીના સંપર્કમાં આવેલા વધુ બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. આ બન્ને વ્યક્તિઓના ઓમિક્રોનની તપાસ માટે નમૂના લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, પહેલા જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, ગઈકાલે તેના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાથી મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ થઈ હતી.
તે ઉપરાંત સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યાં છે કે આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
દેશભરમાં અત્યાર સુધીમાં ટોટલ ઓમિક્રોન વેરિએન્ટથી 21 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ગઈકાલે મોડી રાત્રે મહારાષ્ટ્રમાં સાત અને રાજસ્થાનમાં ઓમિક્રોનથી સંક્રમિત 9 કેસ નોંધાયા છે.