ભારતમાં પ્રતિદિવસે ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધી રહ્યાં છે. તેથી દેશમાં પણ દુનિયાના બીજા દેશોની જેમ ચિંતા વધી ગઈ છે, તેવામા આઈઆઈટી કાનપુરના સંશોધકોએ દાવો કર્યો છે કે, દેશમાં જાન્યુઆરી મહિનાથી કોરોનાની ત્રીજી લહેર શરુ થવાની શક્યતા દેખાઈ રહી છે.
સંશોધકોએ દાવો કરતા કહ્યું છે કે, આ લહેર શરુ થયા બાદ ફેબ્રુઆરી સુધીમાં દેશમાં રોજ કોરોનાના દોઢ લાખ કેસ સામે આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દેશના 6 રાજ્યોમાં કોરોનાના કેસ ડબલ થઈ ગયા છે. જેથી કેન્દ્ર સરકારે આ રાજ્યોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. ત્રીજી લહેર માટે વિદેશથી આવતા મુસાફરો પણ જવાબદાર બની શકે છે. કારણકે પાંચ રાજ્યોમાં વિદેશથી આવેલા 586 જેટલા યાત્રીઓની કોઈ જ માહિતી જ નથી. તેવામાં સંક્રમણ ફેલાવવાની આશંકા વધી રહી છે.
જે 6 રાજ્યોને સરકારે સતર્ક રહેવા કહ્યુ છે તેમાં કર્ણાટક, તામિલનાડુ, કેરલ, ઓરિસ્સા, મિઝોરમ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. સરકારે દેશભરના એરપોર્ટ પર ટેસ્ટિંગ કાઉન્ટર પણ વધારી દીધા છે.