રાજ્યના શહેરી-ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે બિનખેતી વિષયક હેતુ માટે પાણી વાપરે છે તે માટે રાજ્ય સરકારે વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે.આ સંસ્થાઓ બાકી નીકળતા કુલ નાણા પૈકી વપરાશી દરોની કુલ રકમ એક વર્ષમાં છ હપ્તામાં ભરી દે તો તેવી સંસ્થાઓની દંડનીય રકમ અને સ્થાયી દર, વપરાશી દર તથા દંડનીય રકમ ઉપરના સંપૂર્ણ વ્યાજમાં માફી અપાશે એમ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઠરાવમાં જણાવાયું છે.ઠરાવમાં જણાવાયાનુસાર રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, નગર પંચાયત / ગ્રામ પંચાયતો પાણી પુરવઠા વિભાગની યોજનાઓ પાસેથી પ્રથમ તબક્કામાં પીવાનું પાણી મેળવતી હોય એ માટે આ યોજના જાહેર કરાઇ છે. જે સંસ્થાઓને પીવાના હેતુ માટે પાણી આપવામાં આવે છે તેવી સંસ્થાઓના બાકી રહેલ નાણાની ઝડપી વસુલાત થાય અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડી શકાય એ માટે આ યોજના જાહેર કરાઇ છે.
રકમ માંડવાળ કરવા માટેની શરતો ઠરાવમાં નિયત કરાઇ છે જેમાં સ્થાનિક સ્તરે હિસાબો સરભર કરતી તારીખે રકમમાં જે ઉત્તરોત્તર વધારો થયો હોય તે ગણતરીમાં લેવાનો રહેશે અને તે મુજબ રકમ માંડવાળ/સરભર કરવાની રહેશે. પ્રકારની પેનલ્ટી તથા વ્યાજ માંડવાળ કરવામાં આ સંસ્થાઓ ભવિષ્યમાં રકમ ભરવામાં શિથિલતા લાવવા પ્રેરાશે અથવા તો નિયમિત વસુલાત ભરપાઇ કરવામાં ચૂક કરશે તો હવે પછી કોઇપણ પ્રકારના લેણાં ઉપરનું નિયમોનુસાર પેનલ્ટી તથા વ્યાજ અચૂકપણે લેવાનું રહેશે. આ સૂચિત યોજનાનો લાભ પીવાના પાણી માટે મેળવતી સ્વરાજની સંસ્થાઓને અપાશે. આ સૂચિત યોજનાની જોગવાઇઓ અને તેને સંબંધિત આનુષાંગિક તમામ મુદ્દાઓ પડતર કોર્ટ કેસોના આખરી પરિણામને આધિન રહેશે.