રાજ્ય સરકાર દ્વારા કોમન સર્વિસ પોર્ટલ digitalgujarat.gov.in અંતર્ગત ઓનલાઈન સેવાઓ પુરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ કોરોના વાયરસની મહામારીને જોતા સરકાર દ્વારા ચોક્ક્સ સમય મર્યાદામાં લોકોને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આ તમામ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે.કલેકટર કે મામલતદાર સહિત જિલ્લા પંચાયત સહિત જનસેવા કેન્દ્ર જેવી કચેરીમાં લોકોને ધકકા ખાવાની કડાકૂટમાંથી મુકિત મળશે.
સાથે સાથે સરકારે હવે કોઇપણ પ્રકારની મિટીંગ નહીં યોજવા તાકિદ કરી, તમામ કાર્યો ઓનલાઈન કરવા આયોજન કરી નાંખ્યુ છે. ખાસ કરીને હવે ધોરણ10/12 સહિત અલગ અલગ બોર્ડની પરીક્ષાના પરિણામોની સિઝન સાથે આગળના ડિગ્રી તેમજ ડિપ્લોમાં ઇજનેરી સહિત મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોના એડમિશનની સિઝન સામે છે તેવા સમયે પ્રશાસને આગોતરું આયોજન હાથ ધર્યું છે. લોકોને કોવિડ મહામારી વચ્ચે દાખલા પણ સરળતાથી મળે અને દલાલોની ચૂંગાલમાંથી તેમને ઉગારી શકાય તે માટે જિલ્લા કલેકટર તંત્રએ વ્યવસ્થાઓ હાથ ધરી છે.
સરકારના આ નિર્ણયથી ગામના ખેડૂત, વિદ્યાર્થી કે અન્ય કોઈ પણ લોકોને કચેરીના ધક્કા ખાવા પડશે નહીં તેમજ પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગામડાઓમાં જ્યાં ઈન્ટરનેટનો અભાવ છે ત્યાં આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાશે કે નહીં. તે ઉપરાંત રાજ્યનો મોટા ભાગના લોકોને ડિજિટલાઇઝેશનની ગતાગમ નથી. આવા સંજોગોમાં તેમને માટે ઓનલાઈન અરજી કરવી, લોઢાના ચણા ચાવવા સમાન છે. સરકારે આ સમસ્યાઓ અંગે ફરી એક વખત વિચારણા કરીને યોગ્ય નિર્ણયો લેવા જોઈએ.
કેવી રીતે કામગીરી કરવામાં આવશે
1) મામલતદાર, તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં જનસેવા કેન્દ્રોની તમામ અરજીઓ હવે રૂબરૂમાં નહીં પણ પોર્ટલ દ્વારા ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. તેના માટે અરજદારોએ ઓનલાઈન માધ્યમો દ્વારા ગ્રામ્ય કક્ષાથી ઈ-ગ્રામ કેન્દ્રની મદદથી જાતિ તેમજ આવકના દાખલા તેમજ ડોમિસાઈલ વગેરે જેવા પ્રમાણપત્રોની અરજીઓ ઓનલાઈન મેળવવાની રહેશે તેમજ પ્રમાણપત્રો પણ ઓનલાઈન જ મળશે.
2) વારસાઈની નોંધ ઘરે બેઠા જ કોમ્પ્યુટર કે મોબાઈલની મદદથી ઓનલાઈન કરવાની રહેશે. વારસાઈને લગતા ઓરીજનલ દસ્તાવેજો ગામના તલાટીને જમા કરાવવાના રહેશે.
3) વિધવા સહાય માટે જે તે ગ્રામ પંચાયત પરથી ફોર્મ મેળવવાના રહેશે. ફોર્મની વિગતો ભરીને તમામ દસ્તાવેજો ગામના તલાટીને જમા કરાવવાના રહેશે. તલાટી આ તમામ દસ્તાવેજો દર અઠવાડીયે મામલતદાર ઓફીસમાં જમા કરાવશે.
4) રેશનકાર્ડની તમામ પ્રકારની અરજીઓ ડિજીટલ ગુજરાત પરથી મેળવવાની રહેશે.
5) આવકના દાખલા માટે હવે તલાટીના સહી સિક્કાની જરૂર પડશે નહીં. માત્ર ઓનલાઈન ફોર્મ ભરીને રહેઠાણના પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
6) નોન ક્રિમિલેટર સર્ટિફીકેટ માટે રેશનકાર્ડ અને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અપને રહેઠાણના પુરાવાઓ અરજી સાથે અપલોડ કરવાના રહેશે.
7) જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર અને જાતિનો દાખલો નહીં હોય તો આદીજાતિ વિકાસ અધિકારી તેમજ સમાજ કલ્યાણ અધિકારીને દાખલો રજૂ કરાવવાનો રહેશે.