કટક: ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે, લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો તે બળાત્કાર સમાન નથી. ન્યાયમૂર્તિ એસ.કે. પાનીગ્રાહીએ પણ સવાલો ઉઠાવ્યા કે, શું બળાત્કારના કાયદાઓ આત્મીય સંબંધોને નિયંત્રિત કરવા માટે વાપરવા જોઈએ, ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જ્યાં સ્ત્રીઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી સેક્સ કરે છે.
ન્યાયમૂર્તિ પાનિગ્રહીએ ગુરુવારે નીચલી અદાલતના આદેશને રદ કરીને બળાત્કારના આરોપીની જામીન અરજીને મંજૂરી આપી દીધી હતી. ઓડિશાના કોરાપુટ જિલ્લાની 19 વર્ષિય આદિવાસી મહિલાની ફરિયાદ પર ગયા વર્ષે નવેમ્બરમાં બળાત્કારના આરોપોને લઈને અંતર્ગત એક વિદ્યાર્થીની ધરપકડ સાથે આ કેસ જોડાયેલો છે. કેસના રેકોર્ડ અનુસાર એક જ ગામનો પુરુષ અને મહિલા લગભગ ચાર વર્ષથી શારીરિક સંબંધ બાંધતા હતા. આ સમય દરમિયાન તેણી બે વાર ગર્ભવતી થઇ હતી.
બાદમાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે યુવકે તેની નિર્દોષતાનો ફાયદો ઉઠાવ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેને લગ્નનું વચન આપ્યું હતું. મહિલાએ દાવો કર્યો હતો કે, ગર્ભપાતની ગોળીઓ લીધા બાદ આરોપીએ તેને ગર્ભપાત કરવા દબાણ કર્યું હતું.
પોલીસે કેસ નોંધીને શખ્સની ધરપકડ કરી હતી, જે છેલ્લા છ મહિનાથી જેલમાં હતો. ગુરુવારે હાઈકોર્ટે આ શરતે તેમની જામીન અરજીને મંજૂરી આપી હતી કે તે તપાસમાં સહકાર આપશે અને કથિત પીડિતાને ધમકાવશે નહીં. જસ્ટિસ પાનીગ્રાહીએ તેમના 12 પાનાના આદેશમાં બળાત્કારના કાયદાઓની વિગતવાર ચર્ચા કરી અને કહ્યું કે ‘કોઈપણ આશ્વાસન વિના પણ સંમતિ સાથેના સંબંધોને આઈપીસીની કલમ 6 376 (બળાત્કાર) હેઠળ ગુનો ગણી શકાય નહીં.
ન્યાયાધીશ પાનીગ્રાહીએ આ મુદ્દાને હલ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું કે, કાયદા અને ન્યાયિક નિર્ણયો દ્વારા આવા કિસ્સાઓને કેવી રીતે ઉકેલી શકાય તે અંગે પ્રશ્નો વારંવાર ઉભા થાય છે. તેમ છતાં, તેમણે એમ પણ કહ્યું કે બળાત્કારના કાયદા હંમેશાં સામાજિક વંચિત અને ગરીબ પીડિતોની દુર્દશાને સુધારવામાં નિષ્ફળ જાય છે, જ્યાં તેઓ પુરુષો દ્વારા કરવામાં આવેલા લગ્નના ખોટા વચનોથી શારીરિક રીતે ફસાઈ જાય છે.