આરબીઆઇના નિર્દેશ બાદ હવે એટીએમ ફ્રૉડ રોકવા માટે બેન્કોએ પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. કેનેરા બેન્કે કાર્ડ દ્વારા 10 હજાર રૂપિયાથી વધુની રકમ એટીએમ દ્વારા ઉપાડવા પર પિન નંબર સાથે વન ટાઇમ પાસવર્ડ (OTP) જરૂરી કરી દીધું છે. તેનો અર્થ એ છે કે જો કેનેરા બેન્કનો કોઇપણ ગ્રાહક એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધુ રૂપિયા ઉપાડશે તો તેણે એટીએમ પિન નંબર સાથે ઓટીપી પણ ભરવો પડશે.
એટીએમ ફ્રૉડ રોકવા માટે લીધો આ નિર્ણય
સૂત્રોએ જણાવ્યા અનુસાર, હવે અન્ય બેન્ક પણ કેનેરા બેન્કને ફૉલો કરી શકે છે અને એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધુ કેશ ઉપાડવા પર ઓટીપી ફરજિયાત કરી શકે છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એટીએમ ફ્રૉડ રોકવા પડશે. એટીએમ ફ્રૉડ રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી થાય છે.
દિલ્હી SLBCએ પણ આપ્યા સૂચન
અગાઉ પહેલાં એટીએમ છેતરપિંડીને રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)એ કેટલાક ઉપાયો સૂચવ્યાં હતા. કમિટીએ 2 એટીએમ ટ્રાન્જેક્શન વચ્ચે 6થી 12 કલાકનો સમયગાળો રાખવાની ભલામણ કરી હતી.
દેશભરમાં વધી રહ્યાં છે એટીએમ ફ્રૉડના કિસ્સા
વર્ષ 2018-19 દરમિયાન દિલ્હીમાં 179 એટીએમ ફ્રૉડ કેસ નોંધવામાં આવ્યા. આ મામલે દિલ્હી, મહારાષ્ટ્રથી(233 એટીએમ ફ્રોડ કેસ) ફક્ત થોડુ જ દૂર છે. તાજેતરના મહિનામાં કાર્ડના ક્લોનિંગના કેસ પણ સામે આવ્યાં હતાં જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિક સામેલ હતા. વર્ષ 2018-19માં દેશભરમાં ફ્રોડના કેસ વધીને 980 થઇ ગયાં, તેની પહેલાંના વર્ષે આ મામલાની સંખ્યા 911 હતી.