આપણા દેશમાં કોરોનાવાયરસનો ફેલાવો અટકાવવા માટે ૨પમી માર્ચે દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું ત્યારબાદ આખા દેશમાં લાંબા સમય સુધી લોકોની હરફર અને આર્થિક પ્રવૃતિઓ ઘણે અંશે અટકી ગઇ હતી. જો કે પહેલી જૂનથી દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી તે પછી આર્થિક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવી અને લોકોની હરફર પરના નિયંત્રણ પણ ધીમે ધીમે હળવા બનાવવામાં આવ્યા, પરંતુ તબક્કાવાર ત્રણ અનલોક અમલી બનાવવામાં આવ્યા પછી છેક અત્યારે કરવામાં આવેલા એકવિશ્લેષણમાં એવી માહિતી મળી છે કે નિયંત્રણો ઘણે અંશે ઉઠી ગયા હોવા છતાં હજી પણ લોકો બહાર નીકળતા ડરી રહ્યા છે અને આના કારણે એવો સંકેત મળી રહ્યો છે કે અર્થતંત્રને સંપૂર્ણ બેઠું થતા હજી ઘણી વાર લાગી શકે છે.
હાલમાં ગૂગલ દ્વારા ભેગી કરવામાં આવેલી માહિતી અને તેના પરથી કરવામાં આવેલ વિશ્લેષણ પરથી જાણી શકાય છે કે ભારતમાં લોકો હજી પણ બહાર જવામાં ચિંતા અનુભવી રહ્યા છે. ગૂગલ દ્વારા લાખો સેલફોનમાંથી ડેટા ભેગો કરવામાં આવ્યો હતો અને તેના પરથી આ માહિતી મળી છે.
દેશમાં પહેલી જૂનથી અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને તેની પ્રથમ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી ત્યારબાદ આઠમી જૂનથી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવાની છૂટ આપવાનું શરૂ કરવામાં આવ્યું તે પછી તો અનલોકની બીજી અને ત્રીજી માર્ગદર્શિકાઓ પણ જારી કરવામાં આવી અને નિયંત્રણો વધુ ઉઠાવીને વધુ છૂટછાટો આપવામાં આવી તે છતાં પરિવહન, વિવિધ વસ્તુઓના વેચાણ, મનોરંજન સ્થળો પર લોકોનો ધસારો વગેરેના આંકડા નબળા જ રહ્યા છે.
ગૂગલ દ્વારા રોગચાળા પછી લોકોની ગતિવિધિઓનો ખયાલ મેળવવા માટે કોમ્યુનિટી મોબિલિટી એટલે કે સામુદાયિક ગતિવિધિ પર નજર રાખવાનો અને તેની માહિતી ભેગી કરવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને તેના પરથી કોમ્યુનિટી મોબિલિટી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેના પરથી જાણવા મળ્યું છે કે નિયંત્રણો ઉઠી ગયા પછી પણ લોકો મુક્તપણે બહાર નીકળતા ભય અનુભવી રહ્યા છે અને તેને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર થઇ રહી છે.
આંકડાઓ દર્શાવે છે કે આવશ્યક વસ્તુઓ જેવી કે કરિયાણુ અને દવાઓનું વેચાણ જૂનમાં કોવિડ-૧૯ શરૂ થયાના પહેલાના સ્તર પર આવી ગયું હતું પરંતુ જુલાઇ અને ઓગસ્ટમાં તે ફરીથી બેઝલાઇનની નીચે જતું રહ્યું. ઓગસ્ટ મહિનામાં તો તે બેઝલાઇનથી ૧૨ ટકા જેટલું નીચે જતું રહ્યું છે. આ જ રીતે રિટેઇલ અને રિક્રિએશનના ક્ષેત્રમાં પણ છેલ્લા બે મહિનામાં બહુ સુધારો દેખાયો નથી.
ગૂગલના ડેટા મુજબ ૧૭મી ઓગસ્ટે આ ક્ષેત્ર બેઝલાઇન કરતા ૪પ ટકા નીચું હતું. આ જ રીતે પરિવહનની બાબતમાં કેવી સ્થિતિ છે તેનો અંદાજ કાઢવા માટે ટ્રાન્સિસ્ટ સ્ટેશનો પરથી અને લોકો કેટલા પ્રમાણમાં કામે પાછા ચડ્યા છે તેઓ અંદાજ કાઢવા માટે વર્કપ્લેસ એટલે કે કામના સ્થળોએથી આંકડા ભેગા કરવામાં આવ્યા હતા અને તેમના પરથી અંદાજ આવે છે કે જૂન પછી આ ક્ષેત્રોમાં સ્થિતિ સુધરી હોવા છતાં હજી પણ આ ક્ષેત્રોમાં ગતિવિધિ કોવિડ-૧૯ શરૂ થયાના પહેલાના સમય કરતા ત્રીજા ભાગની જ જણાઇ રહી છે. જ્યારે કે બગીચાઓમાં તો લોકોના જવાનું પ્રમાણ અડધું જેટલું જ રહ્યું છે.
આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે લોકોના મનમાં ઘણો ભય પેસી ગયો છે અને તેને કારણે લોકો ખાસ કારણ વિના પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે, બાગબગીચાઓ અને આનંદ પ્રમોદના સ્થળોએ જવાનું તો જાણે બિલકુલ ટાળી રહ્યા છે અને નોંધપાત્ર પ્રમાણમાં લોકો કામે ફરી ચડવાનું પણ હાલ ટાળી રહ્યા છે. આર્થિક પ્રવૃતિઓ અને લોકોની હરફર ઓછી હોવાથી ચીજવસ્તુઓના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને બધું મળીને આની અસર અર્થતંત્ર પર વ્યાપક પ્રમાણમાં થઇ રહી છે.