ટીબી સાથે ગંભીર કોવિડ-19 બીમારીનું 2.1 ગણુ જોખમ જોડાયેલું છે, એમ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું અને ભલામણ કરી હતી કે જેમને હાલમાં જ ટીબીનું નિદાન થયું છે અથવા જેઓ વર્તમાનમાં તેની સારવાર લઈ રહ્યા છે તેમનો કોવિડ-19 માટે ટેસ્ટ થવો જોઈએ. સાથે જ જેમને કોરોના થયો છે એ તમામનો ટીબીનો ટેસ્ટ કરવો.
વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે કોવિડ-19 દર્દીઓ પૈકી ટીબીનું પ્રચલન 0.37થી 4.47 ટકા છે, એમ મંત્રાલયે કહ્યું હતું અને ખાસ ધ્યાન અપાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં જાન્યુઆરીથી જૂન વચ્ચે ટીબીના દર્દીઓની નોંધણીમાં 26 ટકાનો ઘટાડો થયો હતો જેનું કારણ કોવિડ-19 બીમારી છે.મંત્રાલયે કહ્યું હતું અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સક્રીય અથવા સુપ્ત ટીબી સાર્સ-કોવી-2 ચેપ માટે મહત્વપૂર્ણ જોખમ છે.
‘આના કારણે માત્ર કોવિડ-19નું જોખમ વધતું નથી પણ સાથે જ ઝડપથી ગંભીર લક્ષણ વિકસીત થાય છે જેના ખરાબ પરીણામ આવે છે. ટીબી ગંભીર કોવિડ-19 બીમારીના 2.1 ગણા જોખમ સાથે જોડાયેલી છે’, એમ મંત્રાલયે કહ્યું હતું.
મંત્રાલય મુજબ ટીબી અને કોવિડ-19 બંને ચેપી બીમારી છે જે પ્રાથમિક રીતે ફેંફસાઓ પર હુમલો કરે છે. તે બંનેમાં ખાંસી, તાવ, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણ હોય છે.મંત્રાલયના દિશાનિર્દેશ મુજબ ટીબી-કોવિડ સ્ક્રીનીંગ, ટીબીના સમસ્ત દર્દીઓ માટે કોવિડનો ટેસ્ટ અને સમસ્ત કોવિડના દર્દીઓ માટે ટીબીની તપાસ થવી જોઈએ.