કટ્ટર આતંકીઓના કથિત નેટવર્કને તોડવા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના ૨૦૦ જેટલા અધિકારીઓ દ્વારા આજે ગુરુવારે સવારે 3.30 વાગ્યાથી 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડી સંગઠન સાથે જોડાયેલા 100 લોકોની પણ ધરપકડ કરવામાં આવતા સંગઠનના કાર્યકરો કેરળના મલ્લપુરમ અને કર્ણાટકના મેંગલુરુમાં NIA વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે.
PFIએ નિવેદન જારી કરીને કહ્યું છે કે અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સી અમારા લોકોને હેરાન કરી રહી છે.
PFIનું નામ જે રીતે મોટા વિવાદોમાં આવ્યું હતું તેમાં જોવા જઈએ તો
જુલાઈમાં પટના પોલીસે ફુલવારી શરીફમાં દરોડા પાડીને આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. આતંકવાદીઓના નિશાના પર વડાપ્રધાન મોદી હતા.
સપ્ટેમ્બરમાં, આ કેસમાં PFI કાર્યકરોના નામ સામે આવ્યા બાદ NIAએ બિહારમાં દરોડા પાડ્યા હતા.
આ વર્ષની શરૂઆતમાં કર્ણાટકના ઉડુપીમાં હિજાબનો વિવાદ શરૂ થયો હતો.
કર્ણાટક સરકારના મતે આ વિવાદ પાછળ પીએફઆઈના કાર્યકરોનો પણ હાથ હતો. સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પીએફઆઈના કાવતરાના કારણે કર્ણાટકમાં હિજાબ વિવાદ ઉભો થયો.
મેંગલુરૂમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા PFIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
કેરળમાં પ્રોફેસર ટીજે જોસેફનો હાથ કાપવાની 2010ની ઘટના બાદ PFI સંગઠન પહેલીવાર ચર્ચામાં આવ્યું હતું. પ્રોફેસર જોસેફ પર પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ હતો. આ પછી કહેવાય છે કે પ્રોફેસર જોસેફના હાથ PFI કાર્યકરોએ કાપી નાખ્યા હતા.
પોપ્યુલર ફ્રન્ટ ઈન્ડિયા (PFI) ની રચના 2007માં મનીતા નીતિ પાસરાઈ (MNP) અને નેશનલ ડેવલપમેન્ટ ફંડ (NDF) નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સંગઠન માત્ર દક્ષિણ ભારતના રાજ્યોમાં જ સક્રિય હતું, પરંતુ હવે તે યુપી-બિહાર સહિત 20 રાજ્યોમાં વિસ્તર્યું છે.
ત્યારે હવે વિવાદમાં આવેલ આ સંગઠન સામે પગલાં ભરવાનું ચાલુ થતાં આ જૂથ સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.